વાગરાના કડોદરા ગામે ૨૦ દિવસથી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો

વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ ખાતે પાછળ છેલ્લા ૨૦ દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા.ગામના અનેક લોકોને બચકાં ભરી વાનરસેનાએ લોકોને હેરાન પરેશાન કરી મુકયા હતા.
વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામે છેલ્લા કેટલાક દિવસથી ૨૫ થી ૩૦ જેટલા વાનરોનો કાફલો ગામમાં આવી પહોંચતા જ ગામમાં રહેતા મહિલાઓ, બાળકો તેમજ વૃદ્ધોને બચકાં ભરી લેતા ગામના લોકો હેરાન-પરેશાન થઈ જવા પામ્યા હતા.સમગ્ર બનાવની જાણ કડોદરા ગામના સરપંચને થતા તેઓએ વાગરા ખાતે આવેલ જંગલ ખાતાની કચેરીએ જાણ કરતાં જંગલ ખાતાના અધિકારીઓએ ટીમ સાથે કડોદરા ગામે પાંજરું લઈને દોડી ગયા હતા.તોફાની એક કપિરાજ આખરે વન વિભાગના પાંજરે પુરાઈ જવા પામ્યો હતો.જેને પીંજરા સાથે વાગરા જંગલ ખાતાની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો.જેને વેટરનરી ડોક્ટરની તપાસ બાદ ખોરાક પાણી મળી રહે તેવા કુદરતી વાતાવરણમાં છોડી મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે, કે હજુ પણ ગામમાં અસંખ્ય વાનરોએ અડિંગો જમાવ્યો છે.તોફાની વાનરોએ ગામમાં રહેતા ધર્મેન્દ્ર ભાઈ ધનજીભાઈ ગોહિલને બચકાં ભરી લેતા તેઓ પડી જતાં તેઓને હાથે ફેક્ચર થવા પામ્યું હતું સાથે જ ગામમાં રહેતા લક્ષ્મીબેન વિક્રમ ભાઈને પણ તોફાની વાનરે હાથમાં કોણી ઉપર બચકાં ભરી લેતા તેઓને પણ સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ વાનરસેનાની કૂદા-કૂદમાં એક બાળક પડી જતાં તેને માથામાં કપાળના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી.હાલમાં કડોદરા ગામમાં વાનરોના ટોળાંની હાજરીથી ગામના લોકો ભયભીત બન્યા છે.જેથી કડોદરા ગામમાં આતંક મચાવી રહેલા અન્ય વાનરોને પણ વનવિભાગ પાંજરે પુરી ગ્રામજનોની પરેશાનીનો અંત લાવે તેમ કડોદરા ગામના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.