આરોગ્ય વિભાગ કચ્છ દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાશે


દર વર્ષે ૧૬મી મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૫માં આ રોગની નાબૂદી માટે ” Check, Clean, Cover: Steps to defeat Dengue “. Theme for National Dengue Day – 16th May 2025 (તપાસો, સાફ કરો, ઢાંકો: ડેન્ગ્યુને હરાવવાનાં પગલાં”.) થીમ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડેન્ગ્યુનો તાવ પીડાદાયક હોય છે. જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ પણ વધી શકે છે.
એડીસ મચ્છર ડેન્ગ્યુ માદા એડીસ એજિપ્ટી મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ થાય છે. આ મચ્છરના શરીર પર ચિત્તા જેવા પટ્ટા હોય છે. ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન વધુ કરડે છે. આ મચ્છરો બહુ ઊંચે ઊડી શકતા નથી. આ મચ્છર એવા પાણીમાં ઈંડાં મૂકે છે, જેમાં પાંદડા અને શેવાળ હોય છે. આ મચ્છર ઝીકા વાઇરસ અને પીળો તાવ પણ ફેલાવે છે.
ડેન્ગ્યુ રોગ મચ્છરની વિશેષ પ્રજાતિ એડિસ પ્રજાતિઓને કારણે ફેલાય છે આ પ્રકારના મચ્છરો ઘરમાં ખુલ્લા રહેલા કે બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે. ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં સાંધા તથા માંસપેશીઓમાં દુઃખાવો, સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુઃખાવો થાય, હાથ અને ચહેરા પર ચકામા પડે, ગભરામણ થવી, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે વગેરે જોવા મળે છે. આ પ્રકારના લક્ષ્ણો સાથે તાવ આવે તો તુરંત જ નજીકના સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જિલ્લાની હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. ડેન્ગ્યુના અટકાવ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરીને લોકોને સમજણ આપવામાં આવે છે. આ ઉપરાંત, મચ્છર ઉત્પત્તિનાં સ્થળો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.
ડેન્ગ્યુ અટકાવવા માટેની કાળજીઓમાં સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, ફુલ સ્લિવના કપડા પહેરવા, ઘરની આસપાસ, અંદર કે બહાર પાણી ભેગું ન થવા દો, ઘરમાં પાણી સ્ટોર કરતા વાસણને રોજ સાફ કરીને ભરી દો, કૂલરનું પાણી 1-2 દિવસમાં બદલીને એમાં બે ચમચી કેરોસીન ઉમેરો, અઠવાડિયામાં એકવાર ફ્રીઝ સાફ કરો. એમાં રાખેલી પાણીની ટ્રે રોજ બદલો, જે વાસણમાં પાલતું પ્રાણીને પાણી આપવામાં આવે એને સ્વચ્છ રાખો, છત પરની પાણીની ટાંકીને ઢાંકીને રાખો, બગીચાને સ્વચ્છ રાખો અને વાસણોમાં પાણી એકઠું થવા દેશો નહીં, સાંજના સમયે જ ઘરના દરવાજા અને બારીઓ બંધ કરી દો. પાણી સંગ્રહના સાધનો ખુલ્લા ન રાખી હવા ચુસ્ત રાખવા અથવા કપડાથી બાંધી દેવા, સંગ્રહેલા પાણીને દર ત્રીજા દિવસે એક વાસણમાંથી બીજા વાસણમાં ગાળી ઉત્પન્ન થયેલા પોરાનો નાશ કરવો અને મચ્છરના ઈંડાના નાશ માટે વાસણના તળીયા ખૂબ ઘસીને સાફ કરવા અને પાણીનાં મોટા હોજ અને ટાકામાં પોરા ભક્ષક માછલી આરોગ્ય કેન્દ્રમાંથી લાવીને નાખવી હિતાવહ છે. શરીરના અંગોને ઢાંકી રાખે તેવા વસ્ત્રો પહેરો અને દિવસે પણ મચ્છર અગરબત્તી સળગાવો મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવવાથી ડેન્ગ્યુથી બચી શકાય છે.
ડેન્ગ્યુ માટે કોઈ ખાસ એન્ટીવાયરલ દવા નથી પરંતુ લક્ષણોને નિયંત્રિત કરવા માટે પેરાસિટામોલ અને પુરતાં પ્રમાણમાં પાણી પીતા રહેવાની સલાહ આપવામાં આવે છે. ORSનું પાણી પીવાનું ચાલુ રાખવું. ગંભીર કેસોમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. ડેન્ગ્યુના લક્ષણો દેખાય તો વિના વિલંબે નજીકના તબીબનો સંપર્ક કરવો જોઈએ.
કચ્છ જિલ્લામાં ડેન્ગ્યુ દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા મેલેરિયા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પોરાનાશક કામગીરી, માઇક પ્રચાર અને સર્વેની કામગીરી કરીને કરાશે તેમ મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.