વેડહાર (નિરોણા)ના વિર જવાન કલજીભાઈ સોઢાનું સામૈયું અને સન્માન સમારોહ યોજાયો

નખત્રાણા: દેશની રક્ષા માટે 40 વર્ષથી વધુ સમય સુધી એસ.એસ.બી. (સશસ્ત્ર સરહદ બળ) માં ફરજ બજાવ્યા બાદ વેડહાર (નિરોણા) ગામના વતની કલજી મલજી સોઢા નિવૃત્ત થયા છે. તેમના દીર્ઘકાળીન સમર્પિત યોગદાનને લઈ ગામલોકો દ્વારા ભવ્ય સામૈયું કાઢી હર્ષોલ્લાસપૂર્વક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

સામૈયું દરમ્યાન ઢોલ-નગારાઓ અને લોકસંગીત સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામના મુખ્ય માર્ગો પર લોકો ભેગા થઈ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજર રહ્યા હતા. સમાજના વડીલો, યુવાનો તથા પરિવારજનો સાથે આ પ્રસંગે ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સન્માન સમારોહ દરમિયાન કલજીભાઈને શાલ ઓઢાડી, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન પાઠવી તેમનો સન્માનપૂર્વક વિદાય સમારોહ યોજાયો. સાંજે ગ્રામજનો અને મહેમાનો માટે વિશાળ ભોજન સમારંભ પણ યોજાયો હતો.

કલજી મલજી સોઢાનું જીવન યુવાનો માટે પ્રેરણારૂપ છે – એમ ગ્રામજનોએ વ્યક્ત કર્યું હતું. તેઓએ દેશસેવા માટે જે નિષ્ઠા અને સતત ઉત્સાહ સાથે ફરજ બજાવી છે, તે દરેક નાગરિક માટે ગૌરવની લાગણી જનમાવે છે.