સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિ, ઈસમો પ્રવૃતિ કરી રહેલા હોવાનું જણાઈ આવેલું છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી.પી.ચૌહાણ કચ્છ–ભુજ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ તા.૨૪/૦૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. ગુજરાત પોલીસ અધિનિયમ સને ૧૯૫૧ની કલમ-૨૨ માં અધિનિયમ કલમ-૩૭(૩) અન્વયે અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓના પ્રવેશ ઉપર મનાઇ હુકમ ફરમાવેલ છે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ની પેટા કલમ-૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
