‘ગ્લોબલ કચ્છ’ સંસ્થાની જળસંચયની કામગીરીને બિરદાવતા  જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

copy image

જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે આયોજિત બેઠકમાં ગ્લોબલ કચ્છ સ્વૈચ્છિક સંસ્થાની જળસંચયની કામગીરી અંગેનું પ્રેઝેન્ટેશન સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં જળસંચયની વેગવંતી કામગીરીથી ભૂર્ગભ જળસ્તર વધે, ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થાય અને પર્યાવરણ બચાવવાના અભિયાન અંગેની માહિતી ગ્લોબલ કચ્છ સંસ્થાના સીઈઓશ્રી અનિલભાઈ જૈન દ્વારા મંત્રીશ્રીને આપવામાં આવી હતી.

        ગ્લોબલ કચ્છ સંસ્થાની કચ્છની અન્ય સંસ્થાઓ સાથેના સંકલનથી કરવામાં આવી રહેલી વિવિધ જળસંચયની કામગીરીને જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રીએ બિરદાવી હતી. કચ્છ જિલ્લાના ૧૭૨થી વધુ ગામડાઓમાં વોટરબોડી અંગે કરવામાં આવેલા ડીટેઈલ સરવે અને તેના આધારે રિચાર્જિંગ સહિતના પગલાઓ વિશે મંત્રીશ્રીને અવગત કરાવવામાં આવ્યા હતા. કંડલા પોર્ટ ટ્રસ્ટ, અદાણી ફાઉન્ડેશન અને ગ્લોબલ કચ્છ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા વિસ્તારની ભૂખી સહિત વિવિધ નદીઓને પુનર્જીવિત કરવાના કાર્ય વિશે પ્રેઝેન્ટેશનના માધ્યમથી જાણકારી મંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક ગામમાં નદીઓ, તળાવોમાં ચોમાસા દરમિયાન મહત્તમ પાણીનો સંચય થાય તે માટે જંગલ ઝાડી દૂર કરીને પાણીની આવકના રસ્તાને ખુલ્લા કરવાની કામગીરી વિશેની જાણકારી આપવામાં આવી હતી.

        વિવિધ કંપનીઓના, સંસ્થાઓ અને કચ્છી મહાજનના સહયોગથી કૂવા રિચાર્જ, બોરવેલ રિચાર્જ અંગે મંત્રીશ્રીને અવગત કરવામાં આવ્યા હતા. ગ્લોબલ કચ્છ સાથે અખબારની જળસંચયની કામગીરી માટે પ્રચાર પ્રસારની ભૂમિકા અંગેની માહિતી અખબારના મદદનીશ તંત્રીશ્રી નીખીલ પંડ્યાએ આપી હતી. કચ્છમાં દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ખારાશનું પ્રમાણ ઘટે અને પાણીનો વધુ સંગ્રહ થાય તે માટે જળસંચયના ટેક્નિકલ સરવે સાથેના સંસ્થાના કામોને મંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.

        આ બેઠક દરમિયાન અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ સુશ્રી પંક્તિબેન શાહ, ગ્લોબલ કચ્છ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ સર્વે શ્રી મહેન્દ્રભાઈ ગઢવી, શ્રી મેઘનાબેન, શ્રી વિનોદભાઈ ચૌહાણ, શ્રી નરેશભાઈ જોશી, કચ્છ કોપરના પ્રતિનિધિશ્રી પારસભાઈ મહેતા સહિત પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.