જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભુજમાં પાણી પુરવઠા તથા સિંચાઇના વિવિધ વિકાસકામોની મુલાકાત લઈને માર્ગદર્શન પૂરુ પાડ્યું


જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજરોજ કચ્છના ભુજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. તે બાદ ભુજ અને અંજાર તાલુકાના વિવિધ ગામોમાં પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગ હસ્તક ચાલતાં વિકાસકામોનું જાત નિરીક્ષણ કરીને વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી.
ભુજ ખાતે મંત્રીશ્રીએ ધુનારાજા ડેમની મુલાકાત લીધી હતી. ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે ધુનારાજા ડેમની પાણી સંચયની ક્ષમતા તથા ડેમની વર્તમાન સ્થિતીની વિગતોથી મંત્રીશ્રીએ અવગત કર્યા હતાં અને સૌથી જુના આ ડેમ થકી લોકોને વધુ સારી રીતે પીવાનું પાણી પહોંચાડી શકાય તેમજ પાણીનો પૂરવઠો વધારી શકાય તે માટે તેની ઊંચાઈ વધારવા માટે રજૂઆત કરી હતી.
મુલાકાત દરમિયાન તાલુકાના ગામોમાં આગેવાનશ્રીઓ તથા ગ્રામજનોએ મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ તથા શાલથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
મંત્રીશ્રીએ ભુજના ઉખડમોરામાં નોર્ધન લિંકના ચાલુ કામની મુલાકાત લઈ પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી અધિકારીશ્રી અને આગેવાનશ્રીઓ સાથે કામગીરી અંગે ચર્ચા કરી હતી. પાણીની પાઇપ લાઇનની ગુણવત્તા, જરૂરી સાધનોના ક્વોટેશન, તળાવોના સર્વે જેવી બાબતોની ચકાસણી કરી હતી. જેમાં થયેલા કામની સરાહના સાથે અધૂરા કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.
આ દરમિયાન સિંચાઈ તથા પાણી પુરવઠા વિભાગ, વાસ્મો વિભાગના અન્ય અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
– જિજ્ઞા પાણખાણીયા