તિરંગા અભિયાન અંતર્ગત આવો જાણીએ રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે

 ૧૫મી ઓગષ્ટ ૨૦૨૫ એટલે દેશ આઝાદ થયો તેના ૭૮ વર્ષ પૂર્ણ થયા. ત્યારે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અને આ અભિયાનમાં દરેક દેશવાસીઓને જોડાવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. ભારત દેશના દરેક નાગરીકમાં પોતાની માતૃભૂમિ માટે કંઈક કરી છુટવાની ભાવના, દેશદાઝ અને રાષ્ટ્રપ્રેમ કેળવાય તે માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભારત દેશના અબાલવૃદ્ધ સર્વે તિરંગો લહેરાવે તે એક ગૌરવની વાત છે. હવે હર ઘર તિરંગા અભિયાન થકી દરેક લોકો તિરંગા અભિયાનમાં હોંશે હોંશે જોડાશે તો ખરા જ પણ શું તે ધ્વજ ફરકાવવા માટેના તમામ નિયમોને જાણતા હશે..? જો ધ્વજ ફરકાવવાના નિયમોની ખબર ના હોય અને તેના નિયમ વિરૂદ્ધ ધ્વજ ફરકાવવામાં આવે તો રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. તેથી આવો આપણે જાણીએ રાષ્ટ્રધ્વજને સાચી રીતે ફરકાવવાના નિયમો વિશે..  

રાષ્ટ્રધ્વજને ક્યારે, કેવી રીતે અને કયા સમયે ફરકાવી શકાય તે માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા એક ખાસ ફ્લેગ કોડ ૨૦૦૨ માં અમલમાં મુકવામાં આવ્યો છે. જેને ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા’ કહેવામાં આવે છે. આ કોડમાં રાષ્ટ્રધ્વજનું કદ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય તેમજ તૂટી ગયેલા ધ્વજના નિકાલની વ્યવસ્થા વિશે નિર્દેશન કરવામાં આવ્યું છે. ત્યારબાદ હર ઘર તિરંગા અભિયાનને ધ્યાને રાખીને ૨૦૨૨માં આ નિયમોમાં અમુક ફેરફાર કરવામાં આવ્યાં હતાં. જે મુજબ જાહેરમાં કે વ્યક્તિગત રીતે, ઘરમાં, દિવસ અને રાતે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પહેલા રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવો પડતો હતો.

ફ્લેગ કોડના નિયમો

નિયત કદના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે હાથશાળ, હાથવણાટ કે મશિન દ્વારા કોટન, પોલીએસ્ટર, ઉન કે સિલ્ક ખાદીનો ઉપયોગ કરવાનો રહે છે. આ નિયમમાં 2021માં સુધારો કરવામાં આવ્યો છે. તે સુધારાથી મશીન દ્વારા નિર્મિત પોલીએસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ધ્વજનો આકાર લંબચોરસ રાખવો ફરજિયાત છે. પણ, તેના કદનું ચોક્કસ પ્રમાણ જાળવવું પડે છે. લંબાઇ અને પહોળાઇનું પ્રમાણ 3 અને ૨ ના ગુણાંકમાં રાખવું પડે છે. જાહેર કે ઘરની મોભેદાર સ્થાન ઉપર ધ્વજ ફરકાવવાનો રહે છે. ક્ષત એટલે ફાટેલો કે તૂટી ગયેલો ધ્વજ ફરકાવવો જોઇએ નહીં. ફાટી ગયેલો ધ્વજ તુરંત ઉતારી લેવો જોઇએ. રાષ્ટ્ર ધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો. એટલે તેની સાથે બીજો કોઇ ધ્વજ લહેરાવી શકાય નહીં. એક લાઇનમાં એક કરતા વધારે ધ્વજ ફરાવવામાં આવ્યો હોય તેવા સમયે તિરંગોથી ઉંચે રહે એવી રીતે કોઇ અન્ય ધ્વજ ફરકાવી શકાતો નથી.

રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાતો નથી. કુશન, હાથરૂમાલ, નેપકીન સહિતના કોઇ પણ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સમાં એમ્બ્રોડરી કરી શકાતો નથી. કોઇ પણ વસ્તુને વિટાંળી શકાતો નથી. નિયત કરાયેલા મહાનુભાવોની કારની આગળ જ રાષ્ટ્રધ્વજ લગાવી શકાય છે.

રાષ્ટ્રધ્વજની જાળવણી

ક્ષત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે. કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાય નહિ, તેનું માન જાળવાય  રીતે નિકાલ કરવો જોઇએ. આ તમામ નિયમોનો રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખ કરાયો છે. તેને ધ્યાને રાખીને રાષ્ટ્રધ્વજના પુરા આદર સાથે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે.