સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ટીબીના ૧૦૦થી વધુ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

“ટીબી મુક્ત કચ્છ, ટીબી મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ટીબી હોસ્પિટલ ભુજ ખાતે કચ્છ મોરબી સાસંદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીઓને સહાયતા અને સેવાના સંકલ્પ સાથે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમજ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓના હસ્તે ૧૦૦ જેટલા ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કીટમાં પ્રોટીનયુક્ત અને પોષણ આહાર સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ઉદેશ્ય ટીબીના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો છે.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ટીબી સામેની લડાઈમાં પોષણ કીટ આરોગ્યપ્રદ આહાર મહત્વપૂર્ણ બની રહે છે. સાંસદશ્રીએ ટીબી મુક્ત ભારતના અભિયાનમાં આરોગ્યકર્મીઓની ભૂમિકાને બિરદાવી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ટીબીને જળમૂડથી નાશ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં સમયમાં આધુનિક તકનિકોથી ટીબીનું નિદાન સરળ બન્યું છે. સરકારશ્રીના ટીબી મુક્ત અભિયાનમાં સહભાગી થવા તેમજ ટીબીની નિયત દવાઓનું સેવન કરવા તેઓએ દર્દીઓને અનુરોધ કર્યો હતો.
કાર્યક્ર્મમાં મહેમાનોનું જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મનોજ પરમાર દ્વારા કચ્છીશાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનોજ પરમારે કચ્છ જિલ્લામાં ટીબીના દર્દીઓની સાથે વિગતવાર ચર્ચા કરી કચ્છને ટીબી મુક્ત કરવા પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મહિદિપસિંહ જાડેજા સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ, તાલુકા આરોગ્ય ઓફિસ ભુજનો સ્ટાફ તેમજ ટીબીના દર્દીઓ હાજર રહ્યા હતા.