જામનગર : બે ગ્રૂપ વચ્ચે જૂથ અથડામણથી મોડી રાત્રે પોલીસ દોડતી થઈ

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોટી જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં સામસામે બે જૂથ દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો તમામ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે યુવાનો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે થયેલી માથાકૂટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેને પગલે બે જૂથ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન સામસામે પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.
આ ઘટનાને પગલે જામનગર પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો બીજી તરફ, મેયર સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત શખ્સોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજી તરફ, પરિસ્થિતિ વધુ બગડે નહિ તે માટે પોલીસ દ્વારા રાતથી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેવુ સિટી ડીવાયએસપી એ.પી. જાડેજાએ જણાવ્યું હતું.