ભચાઉના સંગમનેર ખાતે અને ભુજપુર ગામ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરાયું

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, સ.દા.કૃ.યું તેમજ અત્રેના વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા તારીખ
૦૫/૦૧/૨૦૨૬ ના રોજ ભચાઉ તાલુકાના સંગમનેર ગામ અને તારીખ ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ ભચાઉ તાલુકા
ના ભુજપુર ગામ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
તે દરમિયાન સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિકો ડો. એલ. જે. દેસાઈ અને ડો. એસ. એમ. પટેલ
તેમજ વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના વડા ડો. આર. એમ. જાડેજા (સહ સંશોધન
વૈજ્ઞાનિક) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ વિષય નિષ્ણાતો જેમ કે ડો. યોગેશ એચ.
રાઠવા, ડો. રવિકુમાર વાણિયા અને ડો. વારીસ અલી દ્વારા વિવિધ ખેતી વિષયક વ્યાખ્યાન આપવામાં હતા. આ
એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમમાં અંદાજે ૧૨૦ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ડો. એસ. એમ. પટેલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેમણે સરદારકૃષિનગર
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા થતી વિસ્તરણ, શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.
ત્યારબાદ મુખ્ય પ્રવચનમાં ડો. એલ. જે. દેસાઈએ ખેડૂતોને સંકલિત ખેતી પદ્ધતિ અને સંકલિત ખેતીથી મળતા
વિવિધ લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ત્યારબાદ ડો. આર. એમ. જાડેજા દ્વારા રેસિડ્યુ ફ્રી દાડમનું ઉત્પાદન કરવા માટે વિવિધ પદ્ધતિ વિષે અને
વેચાણમાં આવતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ તથા પ્રાકૃતિક ખેતીની બજાર વ્યવસ્થા વિષે સચોટ અને ઊંડાણપૂર્વક
માહિતી આપવામાં આવી હતી.
ડો. રવિકુમાર વાણિયાએ પોતાના પ્રવચનમાં શિયાળુ પાકો તથા દાડમના પાકમાં આવતાં મુખ્ય રોગો અને વિવિધ જીવાતો અને
હાલ ચર્ચામાં રહેલા નેમેટોડ (કૃમિ) અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ રોગો અને જીવાતોના લક્ષણો, જીવનચક્ર તથા તેના
નિયંત્રણ માટે અપનાવી શકાય તેવા જૈવિક અને રાસાયણિક ઉપાયો અંગે ખેડૂતોને સચોટ માર્ગદર્શન આપ્યું હતું. ડો. વારીસ અલી દ્વારા
પોષણ અને ક્ષારીય જમીનનું વ્યવસ્થાપન અને તેના થી થતાં વિવિધ લાભો વિષે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. બંને ગામના
જુદાજુદા ખેડૂતોએ પોતાના ખેતીના અનુભવો અને સમસ્યાઓ વિશે માહિતી આપી. તેમના નિરાકરણ અને ઉકેલોની માહિતી
અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવી અને ખેડૂતને સંતોષકારક જવાબો પ્રાપ્ત થયા. ત્યારબાદ ડો. યોગેશ એચ. રાઠવા એ સર્વે
ઉપસ્તિથ અધિકારીઓ અને ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો.
આ એક દિવસીય ખેડૂત તાલીમ સ.દાં. કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે એક ઉપયોગી માહિતીપ્રદ સાબિત
થઇ હતી.