અંકલેશ્વરમાં આખલાનું મોતનું તાંડવ: ગડખોલ ઐયપ્પા મંદિર પાસે દંપતી સહિત ૫ ને અડફેટે લીધા, મહિલાને પગ તળે ખૂંદી, એક ICU માં

  અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ઐયપ્પા મંદિર પાસે એક આખલાએ ૧૫ મિનિટ સુધી આતંક મચાવી ૫ લોકોને લોહીલુહાણ કરી દીધા હતા. આ ભયાનક હુમલામાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર ઘટનાના દિલધડક દ્રશ્યો CCTVમાં કેદ થતા સ્થાનિકોમાં ફફડાટ અને તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
  ​ઘટનાની વિગત મુજબ, એક દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાંથી ઉતરી મંદિરે દર્શન કરવા જઈ રહ્યું હતું, ત્યારે જ આખલાએ ઓચિંતો હુમલો કરી મહિલાને જમીન પર પાડી દીધી હતી અને વારંવાર પ્રહાર કરી પગ તળે ખૂંદી હતી. પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિને પણ આખલાએ ફંગોળી દીધા હતા. મદદે દોડેલા અન્ય લોકો અને બાઈક સવારો પર પણ આખલાએ હિંસક હુમલા કર્યા હતા. લોકોએ લાકડીઓ અને પાણીનો મારો ચલાવવા છતાં આખલો વધુ ઉશ્કેરાયો હતો. ૧૫ મિનિટ સુધી ચાલેલા આ તાંડવમાં પાંચેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પાલિકા તંત્ર રખડતા ઢોરના ડબ્બે પૂરવાની કામગીરી ક્યારે કડક બનાવશે તેવો વેધક સવાલ જનતા પૂછી રહી છે.