રાજ્યમંત્રી શ્રી ત્રિકમ છાંગાએ મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓની સમીક્ષા કરી

રાજકોટના આંગણે આવતીકાલ તા.૧૧મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ની સાથે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે આજે ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમ છાંગાએ સ્થળ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અંગે ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અન્ય તૈયારીઓની વિગતો મેળવી હતી.
તૈયારીઓની સમીક્ષાના ભાગરૂપે મંત્રીશ્રીએ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા અને સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે વડાપ્રધાનશ્રીના નિર્ધારિત રૂટનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે તેમણે તંત્રને જરૂરી સૂચનો આપ્યા હતા.
ત્યારબાદ મંત્રીશ્રીએ અલગ-અલગ ડોમમાં તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રદર્શનો અને યોજાનારી બેઠકો અંગે અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી.‘વોકલ ફોર લોકલ’ના મંત્રને ચરિતાર્થ કરતા ગ્રામીણ કારીગરોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ સ્ટોલ ધારકો સાથે આત્મીય સંવાદ સાધીને તેમની હસ્તકલા અને વિવિધ ઉત્પાદનો વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી.
આ તકે મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોને ‘ગ્લોબલ’ માર્કેટ સુધી પહોંચાડવા માટે એક સબળ અને અગત્યનું માધ્યમ બની રહેશે. આ કોન્ફરન્સથી માત્ર રોકાણો જ નહીં, પરંતુ સ્થાનિક કૌશલ્યને પણ વિશ્વભરમાં નવી ઓળખ મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.