વિજપાસર ગામે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વિજપાસર ગામે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત કચ્છના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તથા રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. વિજપાસર ખાતે કાર્યરત થયેલ આ નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસપાસના વિવિધ ગામોના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને લોકોને ઘર આંગણે સમયસર ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાણુભા જાડેજા, પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન અને વિજપાસરના સરપંચશ્રી વિક્રમસિંહ જાડેજા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ વતી RCHO ડૉ. દિનેશ પટેલ, DMOશ્રી કેશવકુમાર તથા ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર (I/C) ડૉ. રોહિત ભીલે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન વિજપાસર PHC ના મેડિકલ ઓફિસર ડૉ. તયફૂર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.