અંજાર તાલુકાના મોડસર ગામે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

     આજરોજ અંજાર તાલુકાના મોડસર ગામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

        કાર્યક્રમ પ્રસંગે આયોજીત સમારંભમાં સંબોધન કરતાં રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાગરિકોને ઘર આંગણે પારદર્શી વહીવટ મળે તે માટે કટિબદ્ધ છે. જે અનુસંધાને ગામે ગામ સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેથી લોકોના સમય અને ખર્ચની બચત સાથે તમામ પ્રકારની યોજનાના લાભ લોકોને ઘર બેઠા મળી રહ્યા છે. સરકાર ખુદ લોકો પાસે જઈને સામેથી વિવિધ યોજનાની માહિતી સાથે તેમને લાભાન્વિત કરી રહી છે. જેના કારણે આજે વિધવા સહાય, સગર્ભા બહેનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત તમામ વર્ગને વિવિધ લાભ મેળવવા ક્યાંય ધક્કા ખાવાની જરૂર રહી નથી. તેમણે નાગરિકોને સેવા સેતુનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

        અંજાર તાલુકાના મોડસર ગામે આયોજીત સેવાસેતુ કાર્યક્રમમાં આઇસીડીએસ વિભાગ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ્ટ તાલીમ યોજના, એટીવીટીની શાખાને લગતી સેવાઓ, મતદારયાદીની સુધારણા કામગીરી , ઈ – ધારા શાખાને લગતી સેવાઓ, પીજીવીસીએલ વિભાગની યોજનાઓ , ગુજરાત રાજ્ય માર્ગ તહેવાર નિગમ હસ્તકની યોજનાઓ, ખેતીવાડી વિભાગ, સ્વામીત્વ યોજના, સમાજ સુરક્ષાને લગતી કામગીરી જેમાં વિધવા સહાય, ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, પુરવઠા શાખાને લગતી વિવિધ કામગીરી, પોસ્ટ ઓફિસ વિભાગ સહિત વિવિધ વિભાગની યોજનાઓનો એક જ સ્થળેથી ગ્રામજનોએ લાભ લીધો હતો.

        આ પ્રસંગે વિવિધ વિભાગના લાભાર્થીઓને કીટ તથા લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી મ્યાઝર છાંગા, મોડસર સરપંચશ્રી ધનુબેન ચાવડા, તાલુકા પંચાયત સદસ્યશ્રી આંબાભાઈ રબારી, એપીએમસી ચેરમેનશ્રી દૂદાભાઈ આહિર, આગેવાનશ્રી બી.એન. આહિર, કલ્પેશભાઈ આહિર, ગોકળભાઇ, શૈલેન્દ્રસિંહ જાડેજા,  રામજીભાઈ, શામજીભાઈ, પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરી, મામલતદારશ્રી ભગવતીબેન ચાવડા, એટીડીઓશ્રી ભાવેશ ઝાલા, ટીપીઓશ્રી ગૌતમ જોશી સહિત આસપાસના ગામોના સરપંચશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં આસપાસના ગામોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.