યુરોપના મરીન સર્વિસ માર્કેટમાં ગુંજશે ભારતીય કંપનીનો ડંકો!

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) હવે વૈશ્વિક સ્તરે પોતાની પકડ અને વ્યાપ
વધારવા તૈયાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય અસ્થિરતા વચ્ચે, કંપનીએ પોતાની રણનીતિ
બદલીને હવે યુરોપના મરીન સર્વિસ માર્કેટમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. આ વૈશ્વિક વિસ્તરણ માટે કંપની નાણાકીય
વર્ષ 2027 થી 2031 દરમિયાન ₹11,000 થી ₹13,000 કરોડનું જંગી રોકાણ કરશે.
પશ્ચિમ એશિયાના ભૂ-રાજકીય તણાવને કારણે સર્જાયેલા અવરોધોમાંથી શીખ મેળવીને કંપની હવે એક જ વિસ્તાર
પર નિર્ભર રહેવાને બદલે અલગ-અલગ દેશોમાં પોતાનો બિઝનેસ ફેલાવી રહી છે. APSEZ ના સીઈઓ અશ્વિની
ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે યુરોપમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ અમારા જહાજો યુરોપિયન દરિયામાં
કાર્યરત જોવા મળશે. આ પગલું અમારા કોર્પોરેટ રિસ્ક મેનેજમેન્ટનો એક ભાગ છે.”
કંપની હાલમાં 136 જહાજોનો કાફલો ધરાવે છે, જેને વધારીને વર્ષ 2031 સુધીમાં 200 સુધી લઈ જવાની યોજના
છે. નાણાકીય વર્ષ 2026 માં કંપનીના મરીન બિઝનેસે વાર્ષિક ધોરણે 134% ની જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે, જે
હવે ₹2,681 કરોડ પર પહોંચી ગઈ છે.
ભારતના મરીન સર્વિસ સેક્ટરમાં અદાણી પોર્ટ્સ હાલમાં 70% બજાર હિસ્સો ધરાવે છે. કંપની મુખ્યત્વે ત્રણ
પ્લેટફોર્મ દ્વારા કાર્ય કરે છે. જેમાં ઓશન સ્પાર્કલ લિમિટેડ ભારતમાં 78 ટગ્સ અને વર્કબોટ્સનું સંચાલન કરે છે. તો
એસ્ટ્રો ઓફશોર મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયામાં 52 જહાજો ચલાવે છે. ઉપરાંત TAHID ગલ્ફ (GCC)
દેશોમાં કાર્યરત છે.
વૈશ્વિક શિપિંગ અને મરીન સર્વિસ માર્કેટમાં અદાણી પોર્ટ્સનું સ્થાન આક્રમક રીતે મજબૂત થઈ રહ્યું છે. આ નવા
મૂડીરોકાણ (Capex) થી કંપની નવા જહાજોની ખરીદી અને આધુનિક ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી
પોર્ટ બિઝનેસની સાથે સાથે મરીન સર્વિસ પણ કંપનીની વૃદ્ધિનું મુખ્ય એન્જિન બની શકે.
વર્ષ 2026 ના તાજેતરના અહેવાલો મુજબ, કંપની માત્ર પોર્ટ ઓપરેટર મટીને એક વૈશ્વિક લોજિસ્ટિક્સ
પાવરહાઉસ બનવા તરફ અગ્રેસર છે. અદાણીના જહાજો યુરોપમાં તૈનાત થવાથી ભારતીય નિકાસકારોને યુરોપિયન
બજારો માટે વધુ સીધી અને કાર્યક્ષમ શિપિંગ સેવાઓ સહિત અનેક ફાયદાઓ મળી શકે છે. જહાજોની સંખ્યામાં
વધારો થવાથી માલની અવરજવરમાં લાગતો સમયમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનોની કિંમત
સ્પર્ધાત્મક બની રહેશે.