જો હજુ પણ સ્થિતિ નહીં સુધરે તો તે આવનારા દાયકાઓ સુધી ભારે પડશે :મોદી

નેધરલેન્ડ્સના હેગ શહેરમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા.મળતી માહિતી અનુસાર આ શહેર આખી દુનિયામાં ‘સિટી ઓફ પીસ’ તરીકે ઓળખાય છે. હાલમાં 5 દેશોના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક બતાવ્યું કે, અહીં વસતા ભારતીયોનો અદ્ભુત પ્રેમ જોઈને હું થોડીવાર માટે ભૂલી જ ગયો કે હું વિદેશમાં છું. તેમણે લોકોને કહ્યું કે, સમય ભલે બદલાયો હોય પરંતુ ભારતની સંસ્કૃતિ આજે પણ દરેકના દિલમાં વસેલી છે. સમય ભલે બદલાયો, પણ લોકોની અંદર રહેલા ભારતીય સંસ્કાર અને આપણું પોતાનું લોહી ક્યારેય બદલાયા નથી. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલના યુદ્ધને કારણે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ દાયકો દુનિયા માટે આપત્તિઓનો દાયકો બની રહ્યો છે અને જો હજુ પણ સ્થિતિ નહીં સુધરે તો તે આવનારા દાયકાઓ સુધી ભારે પડશે. આ સાથે જ તેમણે 16 મેના દિવસને અત્યંત વિશેષ ગણાવ્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે, આજથી બરાબર 12 વર્ષ પહેલાં 2014માં આજના જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા, જેણે દેશની દિશા બદલી નાખી હતી. આ પ્રસંગે તેમણે નેધરલેન્ડ્સની જનતાને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પીએમ મોદીએ ગર્વભેર જણાવ્યું કે આજનું ભારત બહુ મોટા સપના જોઈ રહ્યું છે. ભારતે ચંદ્ર પર પણ એવા સ્થાને પહોંચીને ઇતિહાસ રચ્યો છે, જ્યાં દુનિયાનો કોઈ દેશ પહેલા પહોંચી શક્યો નથી. આજે ભારત ટેક્નોલોજી અને બિઝનેસના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યું છે. ભારતમાં હાલ 20 મિલિયનથી પણ વધારે UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે અને દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. ભારતના બદલાતા અર્થતંત્ર અને યુવાધન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આજનો યુવા માત્ર નોકરીઓ શોધવાને બદલે પોતે ડ્રોન બનાવવા માંગે છે અને ઇનોવેશન તરફ આગળ વધી રહ્યો છે.