શ્રી અમિત શાહે ભુજમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત G-7 બોર્ડર આઉટ પોસ્ટ પર જવાનો સાથે સંવાદ અને G-7 તેમજ G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ કર્યું

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કચ્છના ભુજમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત G-7 બોર્ડર આઉટ પોસ્ટ પર જવાનો સાથે સંવાદ અને G-7 તેમજ G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ કર્યું. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપ-મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ડાયરેક્ટર, સીમા પ્રબંધન સચિવ અને બીએસએફના ડાયરેક્ટર જનરલ સહિત કેટલાય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે બીએસએફના જવાનો ખૂબ વિષમ આબોહવા અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં રહે છે, પરંતુ અહીં આવીને જ્યારે તેમને હસતા ચહેરાઓ સાથે ભારતની સરહદોની સુરક્ષામાં અડગ ઊભેલા જોઈએ છીએ ત્યારે લાગે છે કે તેમની સરખામણીમાં આપણું કામ ઘણું સરળ છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે જ્યારે બીએસએફના જવાનો નથી થાકતા તો આપણને થાકવાનો બિલકુલ પણ અધિકાર નથી.

WhatsApp Image 2026-05-29 at 16.13.50.jpeg

શ્રી અમિત શાહે કહ્યું કે બીએસએફએ સ્થાપનાથી લઈને અત્યાર સુધી વીતેલા 60 વર્ષમાં દેશની બે સૌથી કઠિન સરહદોની સુરક્ષાની જવાબદારી ઉઠાવી છે. તેમણે જણાવ્યું કે આ સરહદો પર તૈનાત બીએસએફ જવાનોને -45 ડિગ્રીથી લઈને +45 ડિગ્રીથી વધુ તાપમાન સુધી દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ક્યાંક કચ્છનું દુર્ગમ રણ છે, સિર ક્રિક અને હરામી નાળાની દલદલી જમીન છે, તો ક્યાંક રાજસ્થાનના રેતીના ઢુવાઓ વચ્ચે તૈનાત રહીને બીએસએફ જવાનોને કામ કરવું પડે છે. શ્રી શાહે જણાવ્યું કે કાશ્મીરની બરફીલી ચોટીઓ અને સુંદરવનના જંગલો વચ્ચે ગંગાસાગરના કિનારેથી લઈને મેઘાલય અને આસામના પહાડી અને વન ક્ષેત્રો સુધી બીએસએફએ વીતેલા છ દાયકાઓમાં ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. બળના 2000 જવાનોએ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ જ કારણે ભારત સરકાર અને દેશની 140 કરોડ જનતા હંમેશા બીએસએફ પ્રત્યે આદરની ભાવના રાખે છે અને ચેનની ઊંઘ પણ સૂવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે બનાસકાંઠામાં એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જેથી આમ જનતાને બીએસએફ જવાનોની કઠિન ડ્યુટીની ખબર પડી શકે. તેમણે વધુમાં જણાવ્યું કે વીતેલા એક મહિનામાં લગભગ 2.5 લાખથી વધુ લોકોએ આ કેન્દ્રમાં જઈને બીએસએફની ડ્યુટી વિશે જાણ્યું-સમજ્યું છે. શ્રી શાહે કહ્યું કે શરૂઆતમાં ફીડબેક ફોર્મના માધ્યમથી એક સર્વે કરાવીને લોકો પાસેથી બીએસએફની ડ્યુટી વિશે તેમના વિચારો પૂછવામાં આવ્યા હતા. તે સમયે કેટલીય મહિલાઓએ લખ્યું હતું કે જો તેમના દીકરા-દીકરીઓ મોટા થઈને બીએસએફમાં જાય તો તેમને ગર્વ થશે. દેશ માટે આટલું કઠિન જીવન જીવવું બહુ મોટી વાત છે. દેશની જનતા માટે ફીડબેક ફોર્મને ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું કે જ્યારે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી બન્યા ત્યારે બીએસએફની સમીક્ષામાં જાણવા મળ્યું કે હરામી નાળા અને સિર ક્રિકનું ક્ષેત્ર સુરક્ષાની દ્રષ્ટિએ થોડું પાછળ હતું. ગૃહ મંત્રીએ જણાવ્યું કે અમે વોચ ટાવર, કનેક્ટિંગ રોડ, પીવાનું પાણી, મેડિકલ સુવિધાઓ, રહેવાની વ્યવસ્થા અને નવી ફેન્સિંગનું કામ શરૂ કરીને દરેક દ્રષ્ટિએ એક ‘લીક પ્રૂફ’ સુરક્ષા ગ્રીડ બનાવવાની કાર્ય યોજના બનાવી હતી. તેમણે જણાવ્યું કે આગામી બે વર્ષમાં આપણું આ ક્ષેત્ર દુશ્મનની ખરાબ નજરથી હંમેશ માટે સુરક્ષિત થઈ જશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે બીએસએફના જવાનો સર ક્રિક અને ભુજમાં ચટ્ટાનની જેમ ઊભા છે, જેના કારણે ભુજની જનતા પૂરી રીતે સુરક્ષિત છે. તેમણે જણાવ્યું કે અમે એવી સુવિધા આપીશું જેથી જવાનોને ઓછામાં ઓછી તકલીફ થાય. આના માટે મોદી સરકાર દિવસ-રાત કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે અમે બજેટની ચિંતા નથી કરી અને ટેકનોલોજીના ઉપયોગમાં પણ કોઈ કસર છોડી નથી, જેનાથી ધીમે-ધીમે આ ક્ષેત્રમાં મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી કરવામાં આપણને સફળતા મળી છે. અમે અહીં સફળતાપૂર્વક વોચ ટાવરોનું નિર્માણ કર્યું અને આખા બીઓપી ક્ષેત્રને ગ્રાઉન્ડ લેવલથી ઉપર ઉઠાવ્યું.

શ્રી અમિત શાહે જણાવ્યું કે BSF ની સ્થાપનાના 60મા વર્ષમાં અમે બીએસએફની સરહદ સુરક્ષાની વિભાવનાને પૂરી રીતે બદલવાનો નિર્ણય કર્યો છે. અમે આવનારા દિવસોમાં એક ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ બનાવીશું અને બોર્ડરની સુરક્ષાની જગ્યાએ ‘ટેરિટોરિયલ સુરક્ષા’ નો નવો કન્સેપ્ટ લોન્ચ કરીશું. તેમણે જણાવ્યું કે આમાં જનતા, સિવિલ પ્રશાસન, સ્થાનિક પોલીસ અને મિલિટ્રીની સાથે જ બીએસએફ જવાનોની પણ પ્રમુખ જવાબદારી હશે. શ્રી શાહે જણાવ્યું કે અમે સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ હેઠળ સરહદ પર સુરક્ષા ગ્રીડને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યા છીએ. આમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ડ્રોન, રડાર, વોચ ટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને જવાનોની તૈનાતીથી એક મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી થશે. આના પછી કોઈ આપણી સરહદને ભેદવાની હિંમત નહીં કરી શકે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે અમે નવા ક્ષેત્રોને પણ બીએસએફને આપવા પર વિચાર કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે આપણી સુરક્ષા ગ્રીડમાં સૌથી મોટી ખામી બંગાળમાં બોર્ડર પર અધૂરી ફેન્સિંગ હતી. ભૌગોલિક પરિસ્થિતિને તો બદલી શકાતી નથી, પરંતુ જ્યાં જમીન છે અને બોર્ડર ફેન્સ બની શકે છે, ત્યાં પણ આપણને જમીન મળી નહોતી. પરંતુ પાછલા દિવસોમાં બંગાળની જનતાના આશીર્વાદથી બંગાળમાં અમારી પાર્ટીની સરકાર બની અને મુખ્યમંત્રીશ્રીએ એક સપ્તાહની અંદર જ બોર્ડર પર ફેન્સિંગ માટે જમીન આપવાનો નિર્ણય સૈદ્ધાંતિક સ્તરે કરી દીધો છે અને કેટલીક જમીન આપી પણ દીધી છે. તેમણે જણાવ્યું કે ફેન્સિંગ પૂરી થતા જ અમે ઘૂસણખોરી રોકવામાં સફળ થઈશું. જંગલ તેમજ નદી-નાળાઓના રસ્તે ઘૂસણખોરી રોકવા માટે ત્યાં પણ તકનીકી ફેન્સિંગનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં બીએસએફના જવાનોના પરાક્રમ, સાહસ અને કર્તવ્ય નિષ્ઠાના કારણે આખી સરહદ સુરક્ષિત થશે.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ જણાવ્યું કે આખો દેશ બીએસએફ જવાનોના જુસ્સાનું સન્માન કરે છે, તેમને સલામ કરે છે. તેમના કારણે આજે ગુજરાતના આ ક્ષેત્રમાં શાંતિ છે.