ગુજરાતમા છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે વડોદરા શહેરમા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં વડોદરામા પડેલા ૨૦ ઇંચ વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ વિશ્વામિત્ર નદીના પણ પાણીનો પ્રવાહ વધ્યો છે. જેના લીધે નદી પરના તમામ બ્રીજ બંધ કરી દેવામા આવ્યા છે.વડોદરામા થયેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. તેમજ વહીવટીતંત્ર દ્વારા ૧૫૦૦ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યું છે. આ ઉપરાંત વરસાદ બાદ પાણી ભરાતા વડોદરા શહેરમાં શાળા કોલેજ ઉપરાંત સરકારી ઓફીસ અને અદાલતોમા પણ રજા જાહેર કરવામા આવી છે. ભારે વરસાદ અને ભરાયેલા પાણીના પગલે ટ્રેન, રોડ અને હવાઈ વાહન વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે.વડોદરા શહેરના સુભાષનગર અને પરશુરામ ભઠ્ઠા વિસ્તારનાં ઘરોમાં પાણી ભરાયું છે. ફાયરબ્રિગેડ દ્વારા લોકોનું સ્થળાંતર કરાયું છે. તેમજ શહેરના મોટાભાગના રસ્તાઓ અને અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. તેના લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત વડોદરા રેલ્વે સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાઈ જતા વડોદરા આવતી ૨૪ ટ્રેનો રદ કરવામા આવી છે.