ભારત-યુકે વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે
copy image

ભારત અને બ્રિટન વચ્ચે બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર 1પ જુલાઈથી પૂર્ણ રીતે લાગુ થવા જઈ રહ્યો છે. `સર્વગ્રાહી આર્થિક અને વેપાર કરાર’ બન્ને દેશ વચ્ચે આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાની દિશામાં એક મોટું પગલું મનાઈ રહ્યું છે. આ સમજૂતીનો સૌથી મોટો લાભ ભારત દેશના નિકાસકાર્યને થવાનો છે. હવેથી ભારતના લગભગ 99 ટકા ઉત્પાદનોને બ્રિટિશ બજારમાં ડયૂટીફ્રી એટલે કે, કોઈ પણ જાતના વેરા વિના પ્રવેશ મળશે. આમ થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો સામાન ઓછી કિંમતે મળી શકશે. ખાસ કરીને કાપડ, એન્જિનીયરિંગ, ફૂડ અને એમએસએમઈ કંપનીઓ માટે આ સમજૂતી વિકાસનાં દ્વાર ખોલશે.સરકારે દાવો કરતાં જણાવ્યું કે, આ સમજૂતીમાં ભારતીય અર્થવ્યવસ્થાનાં સંવેદનશીલ ક્ષેત્રોનું ખાસ ધ્યાન રખાયું છે. ડેરી ક્ષેત્ર, ખાંડ, ચોખા અને ઈથેનોલ જેવાં ક્ષેત્રોને બ્રિટન સાથે મુક્ત વેપાર સમજૂતીના દાયરાથી બહાર રખાયા છે. કોઈ પણ પ્રકારની રાહતથી ભારતના ઘરેલુ ઉદ્યોગો પર નકારાત્મક અસર ન પડે, તેવું સરકારે સુનિશ્ચિત કર્યું છે. સાથોસાથ યુકેમાં કામ કરતા ભારતીયોને હવે બેવડા વેરાના બોજમાંથી મુક્તિ મળશે અને કમાણીનો એક ભાગ સીધો ભારતના ઈપીએફઓમાં જમા થઈ શકશે.