RBSKની સમયસર ઓળખથી મુન્દ્રા તાલુકાના ભુજપુરના બાળકને મળ્યું નવજીવન: હૃદયરોગની નિઃશુલ્ક સારવાર થઈ સફળ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સમયસર નિદાન અને સતત અનુસરણને કારણે મુન્દ્રા તાલુકાના જન્મજાત હૃદયરોગ ધરાવતા બાળકને નવજીવન મળ્યું છે. સરકારની નિઃશુલ્ક સારવારથી આજે બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ શાળાએ જઈ રહ્યો છે.
મુન્દ્રા મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા AJS High School ખાતે શાળા આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ભુજપુરના ૧૪ વર્ષના ભગીરથ મેઘરાજ ગઢવીની તપાસ દરમિયાન તેને જન્મજાત હૃદયરોગની શંકા જણાઈ હતી.
RBSK ટીમે તાત્કાલિક બાળકના વાલી અને શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કર્યો. શરૂઆતમાં વાલીને રોગની ગંભીરતાની જાણકારી ન હોવાથી તેઓ વધુ તપાસ માટે સંમત ન હતા. ત્યારે RBSKના મેડિકલ ઓફિસર અને ટીમે ધીરજપૂર્વક રોગ વિશે સમજણ આપી, સમયસર સારવારનું મહત્વ સમજાવ્યું અને સરકારની નિઃશુલ્ક સારવાર યોજના વિશે માહિતગાર કર્યા.
CDHO ડૉ. મિતેશ ભંડેરી અને RCHO ડૉ. દિનેશ પટેલ, THO ડૉ. મેહુલ બલદાણીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય ટીમ અને RBSK ટીમે પરિવાર સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો. ટીમના સંકલિત પ્રયાસોથી બાળકને અમદાવાદની યુ. એન. મહેતા હૃદયરોગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ત્યાં નિષ્ણાત તબીબો દ્વારા ભગીરથનું સફળ હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું.
ઓપરેશન બાદ પણ RBSK ટીમે ઘરે જઈ નિયમિત ફોલોઅપ કર્યું અને બાળકના સ્વાસ્થ્યની સત દેખરેખ રાખી. આજે ભગીરથ સંપૂર્ણ સ્વસ્થ છે અને નિયમિત શાળાએ જઈ અન્ય બાળકોની જેમ સામાન્ય જીવન જીવી રહ્યો છે.
બાળકના પરિવારજનોએ RBSK ટીમ અને જિલ્લા આરોગ્ય વિભાગનો હૃદયપૂર્વક આભાર માનતા કહ્યું કે, “સમયસર મળેલ માર્ગદર્શન અને સારવારને કારણે અમારા બાળકને નવજીવન મળ્યું છે.”