ભારત-જાપાન સંબંધોમાં નવો અધ્યાય, PM મોદી-સના તાકાઈચીની હાજરીમાં સંરક્ષણ-ફાર્મા સહિત અનેક કરારો થયા
copy image

ભારત અને જાપાને પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા તરફ એક મોટું પગલું ભર્યું છે. જાપાનના વડાપ્રધાન સના તાકાઈચીની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ફાર્મા, સંરક્ષણ (ડિફેન્સ), ટેકનોલોજી અને આર્થિક સહયોગ સહિતના અનેક ક્ષેત્રોમાં મહત્વના કરારો થયા છે. હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સના તાકાઈચીની ઉપસ્થિતિમાં બંને દેશોએ અનેક ‘મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન’ પર હસ્તાક્ષર કર્યા હતા.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સના તાકાઈચીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને પોતાના “નાની બહેન” ગણાવતા જણાવ્યું કે, “વડાપ્રધાન તાકાઈચી, મારી નાની બહેન, બંને દેશોના પ્રતિનિધિઓ અને મીડિયાના મિત્રોનું હું સ્વાગત કરું છું. ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે તેમની આ પ્રથમ ભારત મુલાકાતથી મને અત્યંત આનંદ થયો છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, સના તાકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે અને તેઓ એક દુરંદેશી નેતા છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે તેમનું નારા પ્રાંત ભારત અને જાપાનના સહિયારા બૌદ્ધ વારસાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે બને દેશોના સંબંધો પર ભાર મૂકતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે , “થોડા દિવસો પહેલા જ G7 શિખર સંમેલનમાં મેં કહ્યું હતું કે વૈશ્વિક ઉથલપાથલના આ સમયગાળામાં પરસ્પર વિશ્વાસ એ આપણી સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે. મને ગર્વ છે કે ભારત-જાપાનની ભાગીદારી આ કસોટી પર ખરી ઉતરી છે. વડાપ્રધાન મોદીએ અંતમાં કહ્યુંહતું કે ભારત અને જાપાન વચ્ચે માત્ર આર્થિક ભાગીદારી જ નથી, પરંતુ વિશ્વાસ, લોકશાહી મૂલ્યો અને સહિયારા હિતોનો પણ મજબૂત સંબંધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં આ ભાગીદારી બંને દેશોના વિકાસની સાથે-સાથે સમગ્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિરતા અને સમૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવશે.