ગાંધીધામ આંતરરાષ્ટ્રીય સ્તરે ચોખાના વેપારમાં 47.69 લાખની છેતરપિંડી
copy image

કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામ શહેરમાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારના નામે છેતરપિંડીનો એક મોટો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર અહીં આયાત-નિકાસનો વ્યવસાય કરતા એક સ્થાનિક વેપારી સાથે કેરળના શખ્સે સોના મસૂરી ચોખાનો જથ્થો મગાવી સમયસર ચૂકવણું ન કરતાં રૂા. 47,69,610ની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવાઈ હતી. શહેરના શક્તિનગરમાં રહેતા અને સેક્ટર-1માં અગ્રીએક્સ નામની પેઢી હેઠળ આયાત-નિકાસનો વ્યવસાય કરતા વેપારીએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તે શક્તિ બોલિમ સાથે ભાગીદારીમાં આ કંપની ચલાવે છે, વર્ષ 2023માં મિત્ર મારફતે ફરિયાદીની મુલાકાત કેરળનાએક શખ્સ સાથે થઈ હતી, જે સ્ટર્લિંગ ઈન્ટરનેશનલ ટ્રેડિંગ એલએલપી નામની કંપની ચલાવતો હોવાનું જણાવ્યું હતું. આરોપી 2025માં અહીં આવી સોના મસૂરી બ્રાન્ડના ચોખા ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે ચોખા મસૂર બ્રાન્ડથી આંતરરાષ્ટ્રીય બજારમાં કતાર ખાતે વેચવા માગતો હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને માલ મળ્યાના એક મહિનામાં ચૂકવણું કરી આપવા જણાવતાં ફરિયાદી આ આશ્વાસન, ભરોસા પર આવીને સોદો મંજૂર કર્યો હતો. ફરિયાદીએ જુદી-જુદી તારીખે કુલ 104.4 મેટ્રિક ટન ચોખા કતાર ખાતે મોકલી આપ્યા હતા. બાદમાં રૂા. 47,69,610ના આ માલ અંગે વારંવાર આરોપીનો સંપર્ક કરવા છતાં તેણે ચૂકવણું કર્યું નહોતું. પૈસા આપવામાં ઠાગાઠૈયા કરનારા આ આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.