જેનેરિક દવાઓ પર 100 નહીં, 200 ટકા ટેરિફ !

copy image

copy image

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચિંતા વધારતો એક મોટો નિર્ણય લીધો છે. સૂત્રોમાંથી મળતી મુજબ અમેરિકામાં આયાત કરવામાં આવતી જેનેરિક દવાઓ પર ભારે ટેરિફ લગાડવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે સૌથી મોટું માર્કેટ હોવાથી, ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાંની સીધી અને ગંભીર અસર ભારતના ફાર્મા ઉદ્યોગ પર પડશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેનેરિક દવાઓ પર લાદવામાં આવનારા ટેરિફ અંગે એક મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે,  1 ઓગસ્ટ,  2026થી આગામી બે વર્ષ સુધી અમેરિકામાં આયાત થતી તમામ જેનેરિક દવાઓ પર કોઈ ટેરિફ નહીં લાગે અને આયાત શુલ્ક શૂન્ય રહેશે. જો કે, ઓગસ્ટ 2028થી આ નિયમોમાં મોટો બદલાવ આવશે. 2028થી પ્રથમ વર્ષ માટે જેનરિક દવાઓ પર ટેરિફ વધારીને 100 ટકા કરવામાં આવશે અને ત્યારબાદ તેને 200 ટકા સુધી કરી દેવાશે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં અમેરિકામાં પોતાના ઉત્પાદન પ્લાન્ટ અને સાધનો ઊભા નહીં કરે, તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર નીતિનો મુખ્ય હેતુ જેનેરિક દવાઓનું ઉત્પાદન ફરીથી અમેરિકામાં જ શરૂ કરવાનો છે.  વિશ્વભરમાં ભારતને `ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. `ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ’ના રિપોર્ટ મુજબ, વર્ષ 2025માં ભારતે અમેરિકાને 9.7 અબજ ડોલરની ફાર્માસ્યુટિકલ દવાઓ એક્સપોર્ટ કરી હતી, જે ભારતના કુલ 25.8 અબજ ડોલરના ગ્લોબલ ફાર્મા એક્સપોર્ટના 38 ટકા જેટલી હતી.  જો જેનરિક દવાઓ પર 100થી 200 ટકા સુધીનો ટેરિફ લાગુ થશે તો આ દવાઓની કિંમતોમાં અતિશય વધારો થશે. આ નિર્ણયથી માત્ર ભારતીય કંપનીઓના નફા અને એક્સપોર્ટ પર જ અસર નહીં પડે, પરંતુ અમેરિકાના સામાન્ય દર્દીઓને પણ મોંઘી દવાઓ ખરીદવાની ફરજ પડશે. જો ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ સમયસર અમલી બનશે, તો ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે બે મુખ્ય વિકલ્પો રહેશે – કાં તો તેમણે અમેરિકામાં પોતાના પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા પડશે અથવા તો ભારે ટેરિફનો બોજ સહન કરીને અમેરિકન માર્કેટમાં ટકી રહેવાનો પ્રયાસ કરવો પડશે.