15 ઑગસ્ટે કોંગ્રેસ મુખ્યાલયમાં વંદે માતરમ રોકવાનો આરોપ

સ્વતંત્રતા દિવસ સમારોહ દરમ્યાન કોંગ્રસ મુખ્ય મથકમાં વંદેમાતરમ ગાન વખતે મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીની વાતચીત અને ઈશારા કરવાનો વીડિયો સામે આવતાં વિવાદ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયના વંશજ અને ભાજપ ધારાસભ્ય સુમિત્રો ચેટર્જીએ સોનિયા ગાંધી કોઈ પણ શરત વિના માફી માગે તેવી માંગ કરી હતી. `વંદે માતરમ્’ વિવાદ વચ્ચે કર્ણાટકના મેંગ્લોરમાં ભાજપ નેતાઓએ સોનિયા ગાંધી વિરુદ્ધ ઉરવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના ચિત્તોડગઢમાં જનસભા સંબોધતાં આરોપ મુક્ત જણાવ્યું હતું કે, કોંગ્રેસ વડામથકે વંદે માતરમ્ ગાયન વચ્ચે રોકવાની કોશિશ કરાઈ હતી. દેશની જનતા કોંગ્રસેને માફ નહીં કરે. સોનિયા ગાંધીએ પક્ષના અધ્યક્ષ તરફ ગાયન રોકવાનો ઈશારો કર્યો હતો. તેવા આરોપ સાથે શાહે જણાવ્યું હતું કે, દેશના 140 કરોડ લોકોએ આ ઘટના જોઈ હતી. આ ઘટના અંગે કોંગ્રેસે જવાબ આપવો જોઈએ. સોનિયા ગાંધીએ દેશની માફી માગવી જોઈએ, બીજીતરફ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ભાજપ પર મુદ્દાવિહીન રાજનીતિ કરવાનો આરોપ મૂકતા કોંગ્રેસનો બચાવ કરવા કૂદી પડયા હતા. ચેટર્જીએ સોનિયાને લખેલા પત્રમાં પોતાને એક સામાન્ય નાગરિક, દેશભક્ત અને બંકીમચંદ્રના સીધા વંશજ લેખાવ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસની નિર્લજ્જતા જુઓ. કોંગ્રેસમાં જરા પણ શરમ બચી હોય તો હાથ જોડીને બંકીમબાબુના અમર આત્મા અને જનતાની માફી માગે. દરમ્યાન, ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયએ પ્રહાર કરતાં જણાવતા કહ્યું હતું કે, કદાચ સોનિયા ગાંધી વંદે માતરમ્ ગહન ભારતીયતાને કદી પૂર્ણપણે નહીં સમજી શકે.