નશાનું પરિણામ આખો પરિવાર ભોગવે છે : મોદી

image

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમના 137મા એપિસોડ મારફતે દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ દરમિયાન નશામુક્તિ અભિયાન સહિત દેશના સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દે વાત કરી હતી. સાથે જ ભારત છોડો સહિતના આંદોલનોનો ઉલ્લેખ કર્યો હતો તેમજ તહેવારોનો ઉલ્લેખ કરીને વોકલ ફોર લોકલ અપનાવવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, મન કી બાત એક  એવું મંચ છે જ્યાં દેશવાસીઓ સાથે રચનાત્મક વિચારો ઉપર ચર્ચા થાય છે. પીએમએ મુંબઈના કૃષ્ણા શેષાદ્રીની ભારત રાજ્ય ડોટ કોમ નામની વેબસાઈટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વેબસાઈટ ઉપર કોઈપણ વર્ષ પસંદ કરીને તે સમયે ભારતના ક્યા હિસ્સા ઉપર કોનું શાસન હતું તે જાણી શકાય છે. આ સાથે પીએમએ શેષાદ્રીને અભિનંદન પાઠવ્યા હતા. નશામુક્તિ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા પીએમએ જણાવ્યું હતું કે નશાની લતની અસર માત્ર વ્યક્તિ ઉપર નહી પુરા પરિવાર ઉપર પડે છે. તેમણે યુવાનોને સ્લોગન, ગીત અને નાટક મારફતે જાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ ઓગસ્ટ મહિનામાં દેશમાં દેશભક્તિના માહોલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સ્વતંત્રતા દિવસ, ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ જેવા દિવસો દેશવાસીઓમાં ગર્વની ભાવના પેદા કરે છે. તેમણે સૂર્યપથ ત્રિરંગા અભિયાનની પણ વાત કરી હતી. પીએમ મોદીએ બાદમાં સ્વનિધિ યોજના ઉપર કહ્યું હતું કે કેવી રીતે યોજનાએ મહિલાઓને નવી તાકાત આપી છે. આ યોજનાના લાભાર્થીમાં 46 ટકા મહિલાઓ સામેલ છે.