એસ.એસ.પી.એ હાઈસ્કૂલ,નિરોણા મધ્યે ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાઈ.

image

આજરોજ એસ.એસ.પી.એ હાઇસ્કુલમાં શાળાના આચાર્યશ્રી ડૉ. વી. એમ. ચૌધરીસાહેબનાં માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિદ્યાર્થીમાં સર્જનાત્મકતા, રાષ્ટ્રીય વિકાસ પ્રત્યેની જાગૃતિ અને દેશના ઉજ્જવળ ભવિષ્યની કલ્પનાને પ્રોત્સાહન આપવા માટે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના કુલ 180 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ચિત્રસ્પર્ધામાં મુખ્યત્વે ‘મારા સપના વિકસિત ભારત’ તથા ‘25 વર્ષ સેવા અને સુશાસન’ એમ બે મુખ્ય વિષયો રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ‘સ્વચ્છ ભારત’, ‘ડિજિટલ ઇન્ડિયા’, ‘જળ સંચય’, ‘મેક ઇન ઇન્ડિયા’ સહિતના આશરે 15 જેટલા વિવિધ વિષયો આપવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓએ પોતાના વિચારો અને કલ્પનાશક્તિને રંગો અને ચિત્રોના માધ્યમથી સુંદર રીતે રજૂ કરી હતી. ચિત્રોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, જળ બચત, ટેકનોલોજી, આત્મનિર્ભર ભારત, ડિજિટલ વિકાસ અને સુશાસન જેવા વિવિધ રાષ્ટ્રીય વિકાસના પાસાઓને અસરકારક રીતે દર્શાવવામાં આવ્યા હતા.

સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ તૈયાર કરેલાં સુંદર અને સંદેશસભર ચિત્રો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. આ સમગ્ર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સર્જનાત્મકતા, સામાજિક જવાબદારી અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા અંગે જાગૃતિ કેળવાઈ હતી.

આ રીતે ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ચિત્રસ્પર્ધા એક સુંદર અને પ્રેરણાદાયી પ્રવૃત્તિ બની રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.