બનાસકાંઠા-કચ્છમાં તીડ ત્રાટકવાની દહેશત વચ્ચે માંડવી તાલુકાના ફરાદી ગામની સીમમાં તીડના ટોળાએ દેખા દીધી હોવાનું બહાર આવ્યુ છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં મળેલ માહિતી મુજબ ગુજરાતના સીમાવર્તી જિલ્લાઓમાં રણ તીડ ત્રાટકવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. તીડ દેખાય તો જિલ્લા પંચાયતના કંટ્રોલ રૃમમાં જાણ કરવાની તાકિદ વચ્ચે ફરાદી ગામની સીમની ઉતર દિશાની સીમમાં આજે તીડના ટોળા નજરે પડયા હતા. જેના પગલે ખેડૂતો ચિંતિંત થયા છે. વર્તમાન સમયમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. જેના પગલે જાહેર કરાયેલા લોકડાઉનના લીધે ખેડૂતોને નુકશાન થયુ છે. તો વળી, કમોસમી વરસાદ, ગત વખતે ત્રાટકેલા તીડના કારણે પણ ખેડૂતોને સહન કરવુ પડયુ હતુ તેવામાં વધુ એક વખત તીડના આક્રમણાથી કચ્છમાં પણ ચિંતા જાગી છે.