છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫ જિલ્લામાં ૫૩૯ પોઝિટિવ કેસ વધ્યા, ૨૦નાં મોત

કોરોના કહેરના ૯૨માં દિવસે ગુજરાતમાં ૨૫ જિલ્લાઓમાંથી ૫૩૯ પોઝિટીવ કેસ અને અમદાવાદમાં ૧૬ અને સુરતમાં ચાર એમ વધુ ૨૦ દર્દીઓનો ભોગ લેવાતા રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના કૂલ કેસોની સંખ્યા ૨૬,૭૩૭એ પહોંચી છે જ્યારે કસનસિબ નાગરીકોના મૃત્યુની સંખ્યા ૧૬૩૯ થઈ છે. જેમાં અનલોક-૧ના આરંભ અટેલે ૧લી જૂનથી અત્યાર સુધીના ૨૦ જ દિવસમાં ૯૯૯૪ પોઝિટીવ કેસ અને ૬૫૫ના મોત થઈ ચૂક્યા છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં કૂલ ૬૩૯૬ પૈકી ૬૬ દર્દીઓની સ્થિતિ નાજૂક જણાતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. શનિવારે પહેલીવાર સુરતમાં ૧૦૩ પોઝિટીવ કેસ મળ્યા હતા. વિતેલા ૨૪ કલાકમાં રાજ્યમાં કૂલ ૫૧૧૩ RT-PCR ટેસ્ટમાંથી પોઝિટીવ મળેલા ૫૩૯ પૈકી અમદાવાદ, સુરત અને વડોદરાના જ ૪૫૨ કેસ હતા. સૌરાષ્ટ્રમાં હજુ પણ અમદાવાદથી પહોંચી રહેલા મુળ વતનીઓથી ગામડાઓમાં ચેપનો ફેલાવો યથાવત છે. શનિવારે અમરેલીના ચાર અલગ અલગ ગામડાઓમાં અમદાવાદથી પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા ચારેય પુરૂષો પોઝિટીવ મળ્યા હતા. નવી ટેસ્ટિંગ પોલિસી મુજબ માત્ર શરદી, ઉઘરસ અને તાવના લક્ષણ ધરાવતા દર્દીઓના જ ટેસ્ટ થઈ રહ્યા હોવાથી આ ચારેય પુરૂષોને કારણે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં બહારથી આવતા મુળ વતનીઓને ક્વોન્ટાઈન પાળવા જોર મુકવામાં આવી રહ્યુ છે.ભાવનગરમાં પણ ૯ નવા કેસ મળતા કૂલ કેસોની સંખ્યા ૨૦૦ નજીક પહોંચી છે. જ્યારે ગાંધીનગરમાં ૮ ચેપગ્રસ્તો વધતા કેસોની સંખ્યા વધીને ૫૪૮એ પહોંચી છે.એકાદ સપ્તાહ બાદ શનિવારે ફરી એકવાર અમદાવાદમાથી ૪૧૮, સુરતમાં ૫૨, વડોદરામાં ૨૦ સહિત કુલ ૧૮ જિલ્લામાંથી કૂલ ૫૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવતા અત્યાર સુધીમાં કૂલ ૧૮,૭૦૨ નાગરીકો કોરોના વાઈરસથી ચેપમુક્ત થઈ ચૂક્યાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતુ.અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોળકા અને વિરમગામ સાથે જોડાયેલા સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ૯૦એ પહોંચી છે. ગાંધીનગરમાં ૫૪૮, મહેસાણામાં ૨૦૬ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસોની સંખ્યા ૧૦૦ને પાર થઈ ચૂકી છે. હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધી રહેલા આ ચેપના પ્રવાહમાં હવે સૌરાષ્ટ્ર તરફ ચેપગ્રસ્તો વધી રહ્યા છે. રાજ્યમાં પાંચ હોટસ્પોટને બાદ કરતા ૨૮માંથી હવે માત્ર ૧૩ જિલ્લમાં બે આંકમાં અર્થાત ૧૦૦થી ઓછા કેસ છે.