ગાંધીધામમાં એક બંધ મકાનમાં પોલીસે તાળાં તોડીને શરાબ પકડ્યો

ગાંધીધામ: શહેરના ગુરુકુળ વિસ્તારમાં બિગ બજાર નજીક એક મકાનમાંથી પોલીસે રૂા. 57,050નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. પરંતુ બે ઇસમો હાથમાં આવ્યા ન હતા. બીજીબાજુ રતનાલ-ચુબડક વચ્ચેથી પકડાયેલો રૂા. 14,61,600ના શરાબના જથ્થા અંગેની ફરિયાદ અંતે અંજાર પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.શહેરના ગુરુકુળ વિસ્તારમાં વોર્ડ-7બી, પ્લોટ નંબર 26, ટેનામેન્ટ નંબર-બેમાં ભાડે રહેનાર સિતારામ ભોલારામ ગુર્જર તથા સુંદરપુરીનો શંકર ક્રિષ્નારામ પ્રજાપતિ નામના ઇસમો શરાબ વેંચતા હોવાની બાતમી પોલીસને મળી હતી. એ -ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળ જ આવેલા આ મકાન પાસે ગઈકાલે રાત્રે પોલીસ પહોંચી હતી. મકાનમાં તાળું હોવાથી તાળું તોડી પોલીસ અંદર ગઈ હતી.આ મકાનમાં અલગ-અલગ સ્થળેથી મેકડોવેલ્સ નંબર 1 રિઝર્વ વ્હીસ્કી, મેકડોવેલ્સ નંબર 1 સુપિરિયર વ્હીસ્કીની 163 બોટલ કિં. રૂા. 57,050નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ બંને શખ્સો શંકર પ્રજાપતિ (મારવાડી) અને સિતારામ ગુર્જર પોલીસના હાથમાં આવ્યા નહોતા.બીજીબાજુ રતનાલ-ચુબડક વચ્ચેથી પકડાયેલા શરાબનો બનાવ અંજાર પોલીસ મથકે નોંધાયો હતો. ચોખાની બોરીની આડમાં લવાતો રૂા. 14,61,600નો શરાબ ડી.આઈ.જી.ની ટીમે પકડી પાડયો હતો. બંધ પડેલી એક ટ્રકમાંથી શરાબ, ચોખાની બોરી, અલગ-અલગ ટોલ નામની રસીદો, મોબાઈલ, કાળા રંગની ફાઈલ જેના ઉપરના ભાગે નટુભા ગોહિલ ગાંધીધામ લખેલું હતું તે સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.’