અમદાવાદ મહાપાલિકાને વધુ પાંચ તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય

અમદાવાદ શહેરની સુંદરતા વધારવા માટે સીએમ રૂપાણીએ મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ પાંચ તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવશે.
મુખ્યમંત્રીએ આ અગાઉ માર્ચ-ર૦ર૦માં ૪ તળાવો તથા જૂન અને જુલાઇ મહિનામાં ૧-૧ તળાવ એમ કુલ છ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે.હવે આ વધુ પાંચ તળાવો પણ સોંપવાના નિર્ણય સાથે કુલ ૧૧ તળાવોના બ્યૂટિફિકેશન અને વિકાસથી અમદાવાદ શહેરની સુંદરતામાં ચાર ચાંદ નહિ પણ અગિયાર ચાંદ લાગશે.આના પરિણામે તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીક માટેના પર્યાવરણપ્રિય સ્પોટનું નવતર નજરાણું ઘર આંગણે મળશે. મુખ્યમંત્રીએ અમદાવાદ મહાપાલિકાને જે વધુ પાંચ તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે તેમાં અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના આંબલીના સર્વે નં.૦૪ ટી.પી. પર, એફ.પી. ૬ માં આવેલ ૨૧૨૬૫ ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ, ઓગણજના સર્વે નં.૦૮, ટી.પી. રર૮, એફ.પી.૮ માં આવેલ ૫૫૩૯૧ ચો.મી.નું ગામ તળાવ, ઓગણજ સર્વે નં. ૭ર૦, ટી.પી. રર૧, એફ.પી. ૧પ માં આવેલ ૨૨૯૬૬ ચો.મી.નું ગામ તળાવ, સોલા સર્વે નં.૮૩૦ ટી.પી. રર૧, એફ.પી. ૯૩૮માં આવેલ ૧પ૭૮૩ ચો.મી.નું ગામ તળાવ અને હેબતપુર બ્લોક નં.૧૧ ટી.પી. ર૧૭, એફ.પી. ૧૧માં આવેલ ૩૪૭૦ર ચો.મી.નું ગામ તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવવા સૂચના આપી છે.