પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણવ મુખરજીના નિધન બદલ સાંસદ વિનોદભાઇ ચાવડાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવેલ કે વિશ્વ શાંતિના ચાહક, વિદ્વાન તથા પ્રેમાળ વ્યક્તિત્વને ભારતે આજે ખોઈ દીધા છે,જેની ખોટ હંમેશ વર્તાશે. તેમની સાથેના સંસ્મરણોને યાદ કરતા કહ્યું હતું કે તેમની સાથે જોર્ડન, ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનની યાત્રા કરવાની તક મળી હતી. તેઓ શાલીન અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રણવ મુખરજીના અત્યંત સાલસ, ઉમદા અને વિચક્ષણ વ્યક્તિત્વને દેશવાસીઓ હંમેશ યાદ રાખશે તથા એક સક્ષમ અને સંવેદનશીલ રાજપુરુષ તરીકે તેઓ હંમેશા લોકમાનસમાં અમર રહેશે. તેમની આઘાતજનક વિદાયથી સમગ્ર કચ્છ ભાજપ પરિવાર શોકની લાગણી અનુભવે છે.રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવેલ કે દાયકાઓથી જાહેર-રાજકીય જીવન દરમિયાન તેઓએ નાણામંત્રી, રક્ષા મંત્રી અને રાષ્ટ્રપતિના પદે રહી રાષ્ટ્ર અને લોકોની નિષ્ઠા અને નિષ્પક્ષ સેવા કરી છે. ભારતે રાષ્ટ્ર સેવક ગુમાવે છે તથા દેશ તેમનું યોગદાન ક્યારેય ભૂલશે નહીં. માંડવીની જૈન નૂતન પંચાયતી પ્રાથમિક શાળા નં.3ના પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે તેઓને દિલ્હીમાં 2014ના શિક્ષકદિને પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ એવોર્ડ અર્પણ કર્યું હતું.