જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ અને છૂટક નવા ભાવો મુકરર કરાયા

– દસે દસ તાલુકાના મુખ્ય મથકોના મુકરર ભાવોનું જાહેરનામું બહાર પડાયું

                કચ્છમાં ઘરગથ્થું વપરાશના કેરોસીનના એક કિલો લિટરના કંપનીના વધેલ ભાવ નજરે જથ્થાબંધ વેંચાણ ભાવ તથા એક લિટરના છૂટક વેચાણ ભાવ તા.૧લી જુલાઇ-૨૦૨૧થી અમલમાં આવતાં તાલુકાના મુખ્ય મથકોને ધ્યાનમાં રાખી મુકરર કરાયા છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા બહાર પાડેલ જાહેરનામા અનુસાર ઘરગથ્થું વપરાશ માટેના કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવ નકકી કરાયા છે. ગાંધીધામ તાલુકા માટે એક લીટરે રૂ.૪૧.૪૪, અંજાર તાલુકો રૂ.૪૧.૫૨, ભચાઉ તાલુકો રૂ.૪૧.૫૯, ભુજ તાલુકો રૂ.૪૧.૭૬, મુન્‍દ્રા તાલુકો રૂ.૪૧.૭૬, રાપર તાલુકો રૂ.૪૧.૮૫, નખત્રાણા તાલુકો રૂ.૪૧.૯૭, માંડવી તાલુકો રૂ.૪૧.૯૮, અબડાસા મુ.નલીયા તાલુકો રૂ.૪૨.૧૪, લખપત મુ.દયાપર તાલુકો રૂ.૪૨.૨૬ આ ભાવો જિલ્લાના તાલુકાના મુખ્ય મથકના હોઇ, કેરોસીનના ઓઇલ કંપનીના જથ્થાબંધ વિક્રેતાઓ કેરોસીનના છૂટક વિક્રેતાના સ્થળ સુધી કેરોસીનની ડિલીવરી આપવા જાય ત્યારે ૧૦ કિલો મીટરના દરેક સ્ટેજે વધુમાં વધુ ૫૦ કિલો મીટર સુધી એક લિટરે દસ પૈસા જે વધુમાં વધુ ૫૦ કિ.મી.ની મર્યાદામાં સ્ટેજ ચાર્જ લઇ શકશે અને લીધેલ ચાર્જ ઉપર ૫ ટકા જી.એસ.ટી. લગાડીને જથ્‍થાબંધ વિક્રેતાએ બિલ અંકારવાનું રહેશે. કેરોસીનના છૂટક વિક્રેતા સ્ટેજ ખર્ચની રકમ બિલ મુજબ ગણતરી કરતા નજીકના પાંચ પૈસાના ગુણાંકમાં છૂટક વિક્રેતા કેરોસીનના વેચાણ બિલ બનાવી કેરોસીનનું વેચાણ કરી શકશે, એમ જાહેરનામામાં વધુમાં જણાવાયું છે.