આજરોજ અંજાર તાલુકા હેલ્થ અઘિકારીશ્રીની કચેરી ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના અધ્યક્ષસ્થાને અંજાર ખાતે નિર્માણ પામનાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. કચ્છ જિલ્લો ખૂબ વિશાળ છે જેથી ઘણીવાર મધ્યસ્થ સ્થાને આવેલી ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ સુઘી ઈમરજન્સીમાં પહોંચવું ઘણું મુશ્કેલ બની જાય છે ત્યારે ૧૨ કરોડના ના ખર્ચે અંજાર ખાતે સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની ગ્રાન્ટ મંજુર થયેલ છે જેનું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલનું નિર્માણ થતાં પૂર્વ કચ્છની આરોગ્ય વ્યવસ્થા વધુ સુગમ બનશે. આ તકે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિર આ સમગ્ર પ્લાનિંગ અંગે વિગતે માહિતગાર થયા હતા અને જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે રાજયમંત્રીએ જણાવ્યું હતું કે હોસ્પિટલનું નિર્માણ થતાં કવાર્ટર્સની પણ જરૂરિયાત ઉદભવશે જેથી તે અંગે પણ અત્યારથી દરખ્વાસ્ત કરવા સંબંધિતોને જણાવ્યું હતું. પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટ યુનિટ-ભુજના કાર્યપાલક ઈજનેર એ. ડી. જાડેજાએ વધું વિગતો આપતાં જણાવ્યું હતું કે કુલ ૬૪૬૦ ચો.મી. વિસ્તારમાં ૭૫ બેડ સહિત અન્ય તમામ સુવિધાઓ સાથેની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું લેન્ડ સ્કેપિંગ સાથે અદ્યતન ભવન નિર્માણ પામશે જે માટે ગુજરાત સરકાર તરફથી ૧૨ કરોડની ગ્રાન્ટ મંજૂર થયેલી છે.
આ તકે અંજાર સબ ડિવઝનલ હોસ્પિટલના ડો. વશિષ્ઠ વાસ્તવે ચોમાસામાં વેક્સિન લેવા આવતા લોકો માટે મંડપની વ્યવસ્થા ઉભી કરવા તેમજ અગ્રણી વસંતભાઈ કોડરાણીએ અંજાર માટે વેક્સિનનો જથ્થો વધારવા પણ રજુઆત કરી હતી.જે અન્વયે મંડપની વ્યવસ્થા કરવાની જવાબદારી અગ્રણી ડેનીભાઈ શાહે ઉપાડી હતી.જ્યારે વેક્સિનનો જથ્થો વધારવા મંત્રીએ સબંધિતોને જણાવ્યું હતું. આ બેઠકમાં મહાદેવભાઈ આહિર, ગોપાલભાઈ માતા,અંજાર તાલુકા આરોગ્ય અઘિકારી ડૉ. રાજીવ અંજારિયા તેમજ અન્ય સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.