અંજાર તાલુકાના વરસામેડી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત

પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં બે અલગ અલગ અકસ્માતની દુર્ઘટનાઓમાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતા.બે બાળકોને તરતા ન આવડતું હોવા છતાં નર્મદા કેનાલમાં ન્હાવા ગયા બાદ ડૂબી જતાં ભુલકાંઓના મોત નિપજ્યા હતા. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અંજાર નજીકના વરસામેડીમાં આવેલી વેલસ્પન કંપનની પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં ઇન્ડિયા કોલોનીમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો બપોરના સમયે ન્હાવા માટે ગયા હતા, વહેતા પાણીના પ્રવાહમાં તરી ના શકતા ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. કરુણાંતિકામાં 9 વર્ષનો સુમિત સુનિલકુમાર ગોડ અને 8 વર્ષના આશુતોષ ત્રિપુરાય ગોડના મોત નીપજ્યાં હતા. હતભાગી બાળકોને તરવૈયાઓની મદદ વડે બહાર લાવી પોસ્ટમોર્ટમ માટે અંજારના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.બીજી તરફ બપોરના સમયે વરસામેડીથી ભીમાસર તરફ જતા મીની ટેમ્પો સામેથી આવતી ટ્રકની ટક્કરથી બચવાના પ્રયાસમાં રોડ પર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ચાલક જગદીશ મોહનભાઈ સોલંકી (ઉવ 32)નું ઘટનાસ્થળે જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ટેમ્પોમાં સવાર પરિવારના 2 થી 3 સભ્યોને ઇજા પહોંચતા સારવાર માટે અંજાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.