જિંદગીથી કંટાળી આઇટી એન્જિનિયરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી


શહેરના કારેલીબાગ વીઆઇપી રોડ પર રહેતા 32 વર્ષીય આઇટી એન્જિનિયરે પોતાના ઘરે બીજા માળે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું. બનાવ અંગે બે દિવસ બાદ ઓસ્ટ્રેલિયાથી પરત ફરેલા માતા-પિતાને મકાનનું તાળું તોડીને ઘરમાં પ્રવેશતાં જાણ થઈ. બનાવ અંગે હરણી પોલીસે અકસ્માત મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી.
શહેરના વીઆઈપી રોડ બ્રાઇટ સ્કૂલ પાસે આવેલી અનિલપાર્ક સોસાયટીમાં રહેતા વિશાલ પ્રવીણભાઈ પટેલ આઇટી ક્ષેત્રે એન્જિનિયરિંગ કરી નોકરી કરતા હતા. તે દરમિયાન 7 મહિનાથી તેઓ વર્ક ફ્રોમ હોમ હતા અને છૂટક કામ મળે તે કરતા હતા. ઓસ્ટ્રેલિયા ગયેલાં તેમનાં માતા-પિતા સાથે 2 દિવસ અગાઉ ટેલિફોન પર વાતચીત થઇ હતી.
ઓસ્ટ્રેલિયાથી પરત ફરેલાં માતા-પિતાએ તેમને ફોન કરતાં તેઓ રિસીવ કરતા ન હતા. જેથી પડોશીઓની મદદથી મકાનનો દરવાજો તોડાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં ઉપરના ખંડે જતાં રૂમનો દરવાજો ખુલ્લો હતો અને પુત્ર ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો જણાયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં વિશાલભાઈનાં બેન ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ કરી રહ્યાં હતાં. તેમની ડિગ્રી પૂર્ણ થતાં કોન્વોકેશન માટે માતા-પિતા ઓસ્ટ્રેલિયા ગયાં હતાં. વિશાલે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં તેણે જિંદગીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.