ભદ્રેશ્વરનું ઐતિહાસિક તળાવ ફુલસર છલોછલ ભરાઈ ઓગની જતા વધાવવામાં આવ્યું..





ભદ્રેશ્વર (કચ્છ) નું ઐતિહાસિક તળાવ ફુલસર એ કચ્છ કેરા કોટના ઇતિહાસ પ્રસિધ્ધ પ્રાતાપી રાજવી લાખા ફુલાણી દ્વારા બનાવેલું ઐતિહાસિક વિગતો જોતા જામ લાખા ફુલાણીનો એક એવો નિત્ય ક્રમ હતો કે રોજ નવા જળાશય, વાવ, કુવા સેલોરના પાણી દ્વારા સવારના પહોરમાં દાંતણ પાણી કરવા. એ માટે લાખા ફુલાણી દ્વારા રોજ પોતાના રાજ્યમાં નવા જળાશયો, કુવા, વાવ, સેલોર બનાવડાવી જેથી કરી પોતાના રાજ્યમાં કચ્છ જેવા સૂકાં પ્રદેશમાં કોઈ દીવસ પાણીની તંગી ન સર્જાય કેટલો ઉમદા વિચાર (જળ એજ જીવન) ને સાર્થક કરતો એ પ્રજાપ્રિય રાજવી દ્વારા ભદ્રાવતી (હાલનું ભદ્રેશ્વર) માં તળાવનું નિર્માણ કરી પોતાના પિતાજી જામ ફુલ નું નામ અમર કરવા તળાવનું નામ ફુલસર રાખ્યું જે વખત જતા આજથી અંદાજે બે સદી પૂર્વે ભદ્રેશ્વરના ખોજા શ્રેષ્ઠી ધરમશી પૂજા દ્વારા તળાવમાં પાકા આરા તળાવની પાળ, પાવડી, ઓગન તળાવની વચ્ચે ભવ્ય સેલોર લાખોટાંનું તથા આજુ બાજુ ઘેઘૂરા વડો વાવી નવનિર્માણ કરાવેલું જેમનું બાવલું (સ્ટેચ્યુ) આજે ફુલસર તળાવના આથમણા આરે વિદ્યમાન છે. એક સમયે આ તળાવની શોભા અનેરી હતી. તે જોઈને ભદ્રેશ્વરના કવિ શ્રી. કારુભા વાઢેર દ્વારા ભદ્રેશ્વર ગામ ની એક રચનામાં તેમના દ્વારા એક છંદમાં ફુલસરનું વર્ણન કરેલું છે! જે આ પ્રમાણે છે. (લાખોટે લહેર કાઈ લાખની રેલોલ.. સાગર સમ ફુલસર તળાવજો ભદ્રેશ્વરની ભારૂ ભલી ભવ્યતા રેલોલ… ) આવુ ઐતિહાસિક તળાવની હાલત આજે દયનીય છે. રખરખાટના અભાવે કચરા બાવળે ઘેરો ઘાલ્યો છે. આવી ધરોહર સાચવવા લોકો તથા વહીવટી તંત્ર દ્વારા કંઈક નક્કર પગલાં ભરવા જોઈએ.
આજે આ ઐતિહાસિક તળાવ શ્રીકાર વરસાદ થતાં છલોછલ ભરાઈ ઓગની જતા. ભદ્રેશ્વરના ગામ પંચાયતના હાલના વહીવટદાર બહેન શ્રી. રાજલબેન ગઢવી તથા ભદ્રેશ્વર હાલા (જાડેજા) ચોવીસીના ટીલાટ પરિવારના સયુંકત હાથે વધાવવામાં આવ્યું.




