મુન્દ્રા સર્કલ પાસે મીની લક્ઝરી બસે વૃધ્ધને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોચી

ગાંધીધામ અને આદિપુરને જોડતો રોડ 24 કલાક ધમધમતો રહે છે છતાં તીવ્ર ગતિ સાથે થતા વાહન વ્યવહારમાં અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે ,જેમાં આદિપુર નજીક મુન્દ્રા સર્કલ પાસે દર્શન કરવા જતા એક્ટિવા ચાલક વૃધ્ધને ખાનગી મીની લક્ઝરી બસના ચાલકે અડફેટે લેતાં હેમરેજ સહિત ગંભીર ઇજાઓ પહોંચી છે.

આદિપુર ન્યુ જનતા હાઉસમાં રહેતા રેડીમેઇડ કપડાના વેપારી હેમંતભાઇ લેખરાજભાઇ નાનકાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતની ઘટના  સવારે સાડા સાત વાગ્યાના આસ-પાસ બની હતી જેમા઼ તેમના 61 વર્ષીય પિતા લેખરાજભાઇ રોચીરામ નાનકાણી સવારે એક્ટિવા લઇ પંચમુખી હનુમાન મંદિરે  જઇ રહ્યા હતા ત્યારે મુન્દ્રા સર્કલ પાસે પૂર ઝડપથી જઇ રહેલી ક્રીષ્ના મીની બસના ચાલકે તેમને અડફેટે લેતાં માથાના ભાગે હેમરેજ ઉપરાંત હાથના ભાગે ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જનાર ખાનગી મીની બસનો ચાલક ઉભો  રહ્યો ન હતો. ઇજાગ્રસ્તને બેભાન હાલતમાં પ્રથમ રામબાગ હોસ્પિટલ ત્યાર બાદ ડિવાઇન લાઇફ હોસ્પિટલ અર્થે લઈ જવાયા  હતા. સીસી ટીવી ફોટોઝ પણ ફરિયાદ સાથે પોલીસને અપવામાં આવ્યા છે ત્યારે આ ઘટના સામે કડક પગલાં લેવાય તેવું ભોગ બનનાર પરિવાર અને નજરે જોનાર લોકોની માંગ છે