ત્રણ શખ્સોએ 18 વર્ષીય યુવકનું કારમાં કર્યું  અપહરણ, ધોકાથી માર મારતા હાથે ફ્રેક્ચર

અંજારનાં ત્રણ શખ્સોએ ઉછીનાં નાણાંની પઠાણી ઉઘરાણી માટે 18 વર્ષિય યુવકનું કારમાં અપહરણ કરી ધોકાથી મારતા ડાબા હાથે ફ્રેક્ચર કરી નાખ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સાંજે સાત વાગ્યાની વેળાએ અંજારના કળશ સર્કલ નજીક આ બનાવ બન્યો.

અંજારની ઓક્ટ્રોય ચોકડી નજીક હનુમાનનગરમાં રહેવાસી અને શાકભાજી વેચતાં પ્રેમજીભાઈ દાતણીયાના પુત્ર અનિલે ૨૦૧૯માં મનીષ સોરઠીયા નામના ઈસમ  પાસેથી  નાણાં ઉછીના લીધા હતા. અનિલે ઉછીના લાવેલ તમામ નાણાં પરત ચૂક્તા કરી દીધાં છતાં પણ મનીષ તેની પાસે સતત વધુ નાણાંની ઉઘરાણી કરતો હતો. સોમવારે સાંજે કળશ સર્કલ પાસે આવેલા જાહેર શૌચાલય પાસે અનિલ ઊભો હતો તે સમયે મનીષ અને તેની સાથેના બે સખ્શો તેને કારમાં ઉઠાવી ગયાં. અપહરણ વેળાએ અનિલે તેના ભાઈને ફોન દ્વારા જાણ કરતાં તેના પિતા અને ભાઈ કળશ સર્કલ પર પહોંચી આવ્યા હતા. તે જ સમયે આરોપીઓ ત્યાં આવી ઘાયલ થયેલા અનિલને નીચે ઉતારી ગયાં અને જતાં જતાં એક જણે અનિલના પિતાને ધમકી આપી હતી કે ‘ તારા અને તારા દીકરાના હવે કેવા હાલ કરું છું તે જોઈ લેજે ‘ અનિલને પરિવારજનો પહેલા સરકારી અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયાં હતા. અનિલને શરીર પર મુઢ ઈજા ઉપરાંત ડાબા હાથમાં ફ્રેક્ચર થયેલ છે . પોલીસે ગુન્હાની નોંધણી કરી વધુ તપાસ હાથ ધરી છે.