કચ્છમાં ગૌવંશમાં ફેલાઇ રહેલા રોગચાળામાં સંવેદના ભૂલી ગયાના કટાક્ષ કરી કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલ

કચ્છમાં 23મી એપ્રિલે લખપત તાલુકાના કૈયારી ગામમાં ગાય સંવર્ગના પશુઓમાં લમ્પી ચર્મરોગનો પ્રથમ કેસ નોંધાયા બાદ જુલાઈ માસમાં તો આખા કચ્છમાં સંક્રમિત ગાયોના મોતની અનેક ઘટનાઓ સામે આવવા લાગી હતી. જેનો સીલસીલો હજુ પણ ચાલુ છે.

આમ છતાં સાચા આંકડા છુપાવાયા છે અને પશુપાલકોને સહાય જાહેર કરાતી નથી, જેથી જિલ્લા કોંગ્રેસે સોમવારે ભુજ શહેરના ટાઉનહોલમાં ગૌ સંવેદના સંમેલન યોજ્યા બાદ કોંગ્રેસી ધારાસભ્યોની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે કલેકટર કચેરીમાં ગયા હતા અને ચેમ્બરથી બહાર આવી આવેદન સ્વીકારવાની માંગણી કરી હતી. પરંતુ, કલેટકર બહાર આવ્યા ન હતા, જેથી કોંગ્રેસી કાર્યકરોએ કલેકટરની ચેમ્બરમાં રામધૂન બોલાવી હલ્લાબોલ કર્યો.

જે ઈતિહાસમાં સંભવત્ પહેલી ઘટના બની રહી હતી. વી. કે. હુંબલ, નવલસિંહ જાડેજા, આમદ ચાકી મંચસ્થ રહ્યા હતા. કાર્યક્રમમાં રામદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ફાલ્ગુની ગોર, મહેબૂબ પંખેરિયા, અબ્દુલ હમીદ સમા, આઈસુબેન સમા, કાસમ સમા, ધીરજ રૂપાણી, હાસમ સમા, કિશોરદાન ગઢવીએ જહેમત ઉઠાવી.


રાજસ્થાનથી કોંગ્રેસી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સાલેમામદ કલ્ડ ઉપરાંત ગુજરાત વિધાનસભાના રાજુલા ધારાસભ્ય અમરિશ ડેર, ટંકારા ધારાસભ્ય લલિત કઘથરા, વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરજાદા, ચોટિલા ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ ગુજરાત સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોરોનામાં મનુષ્યના મોતના આંકડા છુપાવ્યા હતા અને હવે લમ્પીથી ઢોરોના મોતના આંકડા છુપાવાય છે. એ સિવાય કચ્છ સૌરાષ્ટ્રના પ્રભારી અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી રામકિશન ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા, રાપર ધારાસભ્ય સંતોકબેનના પતિ બચુભાઈ આરેઠિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલા આકંડાઓની વિસંગતતા પર કટાક્ષ કર્યો હતો.

ટંકારાના ધારાસભ્ય લલિત મકવાણાએ કલેકટરની ટેબલ ઉપર યુવા મહોત્સવની ફાઈલ જોઈને કટાક્ષ કર્યો હતો કે, અત્યારે કચ્છ જિલ્લામાં લમ્પીગ્રસ્ત પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે તમે યુવા મહોત્સવમાં લીન છો એ દુ:ખદ છે. રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેરે કહ્યું હતું કે, અમે 33 જિલ્લાના કલેકટર જોયા પરંતુ આવેદન પત્ર લેવા ચેમ્બરથી બહાર ન આવવાની અકડ દેખાડનાર કલેકટર પહેલી વખત જોયા.


જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે આક્ષેપો નથી કરતા. અમે છેલ્લા પાંચ દિવસમાં 1800 પશુપાલકો પાસે લમ્પીથી અસરગ્રસ્ત દુધાળા ઢોરોના ફોર્મ ભરાવ્યા છે, જેમાંથી 3731 પશુઓના મોતનો આંકડો બહાર આવ્યો છે. જે પુરાવા રૂપે રજુ કરીએ છીએ. હજુ આખા જિલ્લામાં સર્વે ચાલુ છે. મોતનો આંકડો 50 હજાર ઉપર પહોંચે એવી પૂરેપૂરી શક્યતા છે.

ટાઉનહોલમાં ગૌ સંવેદના સંમેલન પહેલા વાછરડીની હિન્દુ ધર્મ રીત રિવાજ પ્રમાણે પૂજા કરાઈ અને ગૌવંશના રક્ષણ અને પશુપાલકોને સહાયની પ્રતિજ્ઞાના લેવાઈ હતી. જરૂર પડશે તો કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં સડક ઉપર ઉતરી આવશે એવું પણ જણાવાયું હતું.


પ્રવકતા દિપક ડાંગર અને ગની કુંભારે કહ્યું હતું કે, આવેદનપત્રથી પ્રત્યેક મૃત પશુદીઠ 50 હજાર રૂપિયાની સહાય આપવા માંગણી કરાઈ છે. સહાય ચૂકવવામાં ટેગનો આગ્રહ ન રાખવા, મૃતપશુઓના નિકાલ માટે ત્વરાએ કાર્યવાહી થવી જોઈએ, બેદરકારી દાખવનારા સામે ગૌહત્યાનો ગુનો દાખલ કરીન કાર્યવાહી કરવામાં આવે એવી રજુઆત પણ કરવામાં આવી છે.

એક કાર્યકરે વિરોધમાં મુંડન કરાવ્યું ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી અંજલિ ગોરે જણાવ્યું હતું કે, ટાઉનહોલમાં માંડવીના કાર્યકર વસંતભાઈ કોલડિયાએ ગાય માતા પ્રત્યે સંવેદનાવિહીન સરકારના સામેના વિરોધમાં માથે મુંડન કરાવ્યું હતું.