કલેકટરશ્રીની રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોંફરન્સ : રાજકીય પક્ષોને સંકલિત મુસદ્દા મતદાર યાદીની ફાળવણી
બોટાદ
રાજયભરમાં આજથી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેનાં કારણે હવે વર્ષમાં ૦૪ તારીખોએ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નાગરિકો મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકે છે. આ બાબતે આજે બોટાદ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટરશ્રી દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
જે અન્વયે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરશ્રી બી.એ.શાહે પત્રકારો અને રાજકીય પક્ષોને સંબોધતા જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં આજથી તા.૧૧ સપ્ટેમ્બર સુધી મતદારયાદી સુધારણા ઝુંબેશનો શુભારંભ થયો છે. આ ઝુંબેશની ખાસિયત એ છે કે, પ્રથમવાર મતદાર તરીકે લાયક થતા યુવક-યુવતીઓ માટે હવે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા ફેરફાર મુજબ મતદાર તરીકે નોંધણી કરાવવાની મોટી તક છે. કલેકટરશ્રીએ આ ઝુંબેશમાં રાજકીય પક્ષો પણ આગળ આવે અને નવા મતદારોની નોંધણી માટે પ્રયાસ કરે તેમ ઉમેર્યું હતું.
ઉપરાંત આ યાદીમાં જે નાગરિકોને સુધારો કરવો હોય તેઓ આજથી એટલે કે ૧૨મી ઓગસ્ટથી ૧૧મી સપ્ટેમ્બર સુધીમાં પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. ચાર રવિવારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત ૨૧મી ઓગસ્ટ, ૨૮મી ઓગસ્ટ, ૪ સપ્ટેમ્બર તથા ૧૧ સપ્ટેમ્બરના રોજ ખાસ વિવિધ મતવિસ્તારો તથા બૂથમથકો પર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં બૂથ લેવલ ઓફિસર મતદાન મથક પર સવારે ૧૦થી સાંજે પ કલાક સુધી ઉપસ્થિત રહેશે. જેમની પાસે નાગરિકો મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, નામ કે સરનામા સુધારવા, નવા મતદારોની નોંધણી સહિતની કામગીરી કરાવી શકશે. બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સંકલિત મુસદ્દા મતદાર યાદીની ફાળવણી પણ કરવામાં આવી હતી.
જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી ગીતાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ૧૦મી ઓક્ટોબરના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને મતદાર નોંધણી સહિતની પ્રક્રિયા કરાવવા જિલ્લા કલેક્ટરશ્રી તરફથી અનુરોધ કરાયો છે. જેમની ઉંમર ૧-૧૦-૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થતી હોય તેમને અચૂક મતદારયાદીમાં નામ નોંધાણી કરાવવા જણાવાયું છે. માત્ર નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ નંબર-૬ જ્યારે ઇલેક્શન કાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક કરાવવા માટે ફોર્મ નંબર ૬-બી ભરવાનું રહેશે.
ઉપરાંત https://www.nvsp.in/, https://eci.gov.in/voter/voter-registration/ , https://voterportal.eci.gov.in/ અને voter helpline એપ્લિકેશનની મદદથી ઓનલાઈન નોંધણી પણ કરાવી શકશે. આ સિવાય ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પરથી પણ આ બાબતે વધુ માહિતી મેળવી શકાશે.
