સેક્ટર-7 ના બંધ ઘરમાંથી 4 ગલ્લા તોડી 40 હજારની ચોરી


ગાંધીધામના સેક્ટર-7 માં રહેતા મામલતદાર કચેરીના પટ્ટાવાળાએ છેલ્લા પાંચ વર્ષથી 4 ગલ્લામાં એકઠી કરેલી બચતની રૂ.40 હજારની રકમ બંધ ઘર ભાળી ગયેલા તસ્કરો તાળા તોડી ચોરી કરી ગયા હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. ગાંધીધામના સેક્ટર-7 ના ટેનામેન્ટમાં રહેતા અને મામલતદાર કચેરીમાં પ્યૂન તરીકે ફરજ બજાવતા મનોજભાઇ કોરશીભાઇ દેવરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.12/8 ના રોજ રાત્રે 11 વાગ્યાના અરસામાં તેઓ ઘર બંધ કરી વર્માનગર રહેતા માતા પિતાને મળવા ગયા હતા. તા.15 ઓગષ્ટના સવારે 11 વાગ્યે તેમના નાના બહેન અંજનાબેનને ફોન કરી તેમના પિતાને જણાવ્યું હતું કે તમારા મકાનનું તાળું તૂટ્યું છે અને ચોરી થઇ છે. આ વાતની જાણ થતાં તેઓ ગાંધીધામ ઘરે પરત ફર્યા હતા અને જોયું તો સામાન વેર વિખેર પડ્યો હતો. તપાસ કરતાં કબાટમાં રાખેલા માટીના 4 ગલ્લા જેમાં તેઓ છેલ્લા પાંચ વર્ષથી બચત કરી રહ્યા હતા તે તોડી તસ્કરો તેમાં કરેલી બચતના આશરે 40 થી 45 હજાર રોકડની ચોરી કરી ગયા હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે તેમણે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.છેલ્લા પાંચ દિવસથી સંકુલમાં તસ્કરો રીતસરના બેફામ બની ગયા છે