એરપોર્ટથી સ્મૃતિવન સુધી રસ્તા અને ડીવાઈડર રિપેર સહિતના કામોનો ધમધમાટ

copy image

રાજ્યના મુખ્ય મંત્રી આવે કે અન્ય રાષ્ટ્રીય કક્ષાના નેતા આવે તો એટલું ધ્યાને લેવામાં નથી આવતું જેટલું વડાપ્રધાનની મુલાકાત હોય ત્યારે હોય છે. તેમના માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. સુરક્ષાથી માંડીને કાર્યક્રમમાં ક્યાંય પણ ખામી ન રહે તે માત્ર ફરજ નહિ, સાથે કોઈ ચૂક થઈ જશે તો માફી નહિ મળે તેવો ડર પણ હોય છે. શિસ્તના આગ્રહી એવા નરેન્દ્ર મોદી સામે સરકારી વિભાગો, રાજકીય પક્ષ, કાર્યકરો વગેરે માટે સખત પરિશ્રમ કર્યે જ છૂટકો હોય છે.

​​​​​​તેમજ સારી છાપ ઊભી કરવા માટે ઝાડી ઝાંખરા દૂર કરવાથી લઈને ડીવાઈડર પર નવા ઇન્ટરલોક, જનરલ હોસ્પિટલથી વીરાંગના સર્કલ સુધી નવી બાઉન્ડ્રી, કલર કામ, અને રસ્તા પણ નવા બનાવી રહ્યા છે. આ રસ્તાઓ પરના બધા જ સ્પીડ બ્રેકર કાઢી નખવામાં આવ્યા છે, જે વડાપ્રધાનના પરત ગયા બાદ ઢંગ વગરના બનાવી નખાશે. રોડ શૉ કરવાના છે તે રૂટ પ્રિન્સ રેસીડેન્સીથી કોલેજ રોડ, જયુબિલી સર્કલ, જી.કે.જનરલ હોસ્પિટલ, આરટીઓ સર્કલ થઈને સ્મૃતિવન સુધી ઝટપટ કામ કરવા કારીગરો લગાવવામાં આવ્યા છે. રાતોરાત કામ કરાઇ રહ્યું છે, ત્યારે ગુણવત્તા નબળી ન થાય તે પણ જોવાની જરૂર છે.


એકાદ મહિનાથી સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલય અને અન્ય કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં વરસાદના કારણે સતત વિક્ષેપ પડ્યો છે.ત્યારે હવે નરેન્દ્ર મોદી આવવાના છે, તે તારીખ નજીક છે, ત્યારે રાત દિવસ કામગીરી કરવામાં આવે છે. તેમાં પણ બાંધકામ અને રસ્તાના કામ માટે બાધા સમાન બનતો વરસાદ કોન્ટ્રાકટર માટે માથાના દુઃખાવા સમાન બન્યો છે. એક ઠેકેદારે તો કહ્યું કે, અમને કામનું તણાવ નથી, પણ વરસાદ ક્યારે આવશે તે જાણવા વેધર એપ સતત જોતા રહીએ છીએ. જેથી કામ ક્યારે અટકાવવું તે જાણ થાય. ઉપરાંત અચાનક કામ એક જગ્યાએ ખૂબ કરવામાં આવતા માલ મટીરીયલ તેમજ મજૂરી ખર્ચ દોઢ ગણો થઈ જાય છે.