અંજારના વરસામેડી પાસેથી બિનવારસી બંધક બનાવેલા 10 ગૌ વંશમાં 7 મૃતપ્રાય હાલતમાં મળતા ચકચાર


અંજાર તાલુકાના વરસામેડી પાસે આવેલી ક્રિષ્ના સોસાયટીની એક ઓરડીમાંથી 10 જેટલા ગૌ વંશ બિનવારસી હાલતમાં મળ્યા હતાં. ઘટનાને પગલે સમગ્ર કચ્છમાં ચકચાર મચી જવા પામી. બનાવની ગંભીરતા એ છે કે 10 પૈકી 7 ગૌ વંશ મૃતપ્રાય હાલતમાં મળી આવ્યા.તથા તમામ પશુઓને બંધક બનાવી રખાયા હોવાનો દાવો બનાવને ઉજાગર કરતા ગૌ સેવકોએ કર્યો છે. આ દર્દનાક બનાવની જાણ પોલીસમાં કરાતા અંજાર પોલીસ દ્વારા ઘટનાસ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ અંજારના વરસામેડી નજીક સર્વે નંબર 463 અને 464માં આવેલી એક બંધ ઓરડીમાંથી 10 જેટલા પશુઓ મળી આવ્યા હતા.
ગૌ સેવકો દ્વારા તપાસ કરતા આ ગૌ વંશ અંદાજિત 10 થી 15 દિવસથી અહીં બંધ કરાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી. જેમાંના 7 પશુઓના મૃત્યુ પામેલા છે જ્યારે ત્રણ પશુઓ ગંભીર હાલતમાં મળી આવ્યા. આ વિશે ગૌ સેવા સંસ્થાના રાજભા ગઢવીએ સમાચાર માધ્યમોને જણાવ્યું હતું કે ગૌ વંશ પુરાયેલા હોવાની જાણ થતાં અહીં તાત્કાલિક દોડી આવીને સ્થિતિનું નિરીક્ષણ કર્યા પછી તરત જ પોલીસને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં બંધ ઓરડીમાં લાગેલું તાળું તોડી જીવિત પશુઓને મુક્ત કરાયા બાદ સારવાર માટે ખસેડયા હતા. ગૌ વંશને અહીં દિવસોથી બંધ રાખવામાં આવ્યા હોવાથી તેઓ મૃત્યુ પામ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. અંજાર પોલીસે આ મામલે હજુ વિધિવત ફરિયાદ મળી ન હોવાનું જણાવી પોલીસ બનાવની તપાસ માટે ગઈ હોવાનું કહ્યું હતું.