મુન્દ્રામાં હજી પણ મુખ્ય માર્ગ પર દસથી વધારે ઇમારતો જર્જરિત હાલતમાં હોવાથી જોખમ 


મુન્દ્રા ખાતે કોટ અંદરના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માલિકોની બેદરકારીના હિસાબે મુખ્ય માર્ગો પર આવેલી ઇમારતો રાહદારીઓ પર ખતરો બની ઝૂલી રહી હોવાની અસંખ્ય ફરિયાદો ઉઠ્યા બાદ કામગીરીમાં આવેલી નગરપાલિકાએ આળસ ખંખેરી બંદર રોડ સ્થિત ભાણજી સદન નામક મકાનના ભયરૂપ કઠોડા તોડી પાડી હતી પણ હજી આવી દસથી વધુ ઇમારતો નગરમાં ખતરાની ઘંટી વગાડી રહી છે તેનું શું? તેવો સવાલ નગરજનોમાં ઉઠી રહ્યો છે.
હાલ ફક્ત ભાટિયા ચોકમાં મુખ્ય માર્ગ પર આવેલી ચાર થી વધુ ઇમારતો માંથી પથ્થરો અને પોપડા ખરવાનો ક્રમ રોજિંદો બન્યો છે. આજ માર્ગ પર શાળાએ જતા છાત્રો અને તેને મુકવા આવતા વાલીઓનો મોટા પ્રમાણમાં ઘસારો રહેતો હોય છે.જયારે આ જ પ્રકારની અન્ય જર્જરિત ઇમારતો જૂની ટેલિફોન એક્સચેન્જ નજીક, ખારવા ફળિયા તેમજ ખોજા બોર્ડિંગ નજીક આવેલી છે ત્યારે તેના ખસ્તા લટકતા ભાગોને પણ દૂર કરવાની માંગ ઉઠી છે.ઉપરોક્ત મુદ્દે નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારનો સંપર્ક સાધતા તેમણે તબક્કાવાર બધી ભયજનક મિલકતોના ભયસ્થાનો દૂર કરવાનું આશ્વાસન આપ્યું હતું.