ચોબારી અને મનફરાના 96 ખેડૂતોને 8 વર્ષથી ચૂકવાયું નથી જમીનનું વળતર


સરહદી કચ્છ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી નર્મદાના નીર છેવાડાના મોડકુબા સુધી પહોંચ્યા છે અને તેનું ઉદ્દઘાટન કરવા માટે આવતીકાલે પ્રધાનમંત્રી ખુદ હાજર રહેવાના છે પણ મહત્વની વાત એ છે કે,આ કેનાલ જ્યાંથી પસાર થાય છે તે ભચાઉ તાલુકાના ચોબારી અને મનફરા ગામના 96 જેટલા ખેડૂતોને 8 વર્ષથી વળતર નથી મળ્યું.
આ નર્મદા નહેરના નિર્માણ માટે ચોબારી અને મનફરા ગામના ખેડૂતોએ બાંધકામ અટકે નહિ એવા ઉમદા હેતુથી તત્કાલિન મુખ્યપ્રધાન તેમજ મંત્રી વાસણભાઈ આહીર સહિતનાઓના યોગ્ય વળતર આપવાના વચન થી વર્ષ 2015માં જમીન વિના વળતરે કેનાલ બનાવવા માટે આપી દીધી હતી અને જે બાદ નહેરનું કામ આગળ વધ્યું પણ જે 96 ખેડૂતોએ સરકાર અને નેતાઓ પર વિશ્વાસ મૂકીને પોતાની જમીન આપી તેઓને 8 વર્ષથી હક્ક મળ્યો નથી. ત્યારે કચ્છ આવતા વડાપ્રધાન ખેડૂતોને હક્ક સમાન જમીનનું વળતર સત્વરે મળે એ માટે જવાબદાર તંત્રને ફરમાન કરે તે માટેની માંગ ભોગગ્રસ્ત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.