કંડલાથી દિલ્હીની ફ્લાઈટ 2 કલાક મોડી, આજે રહેશે રદ, સપ્તાહમાં 4 વાર રદ 

ગાંધીધામ અને દેશની રાજધાની દિલ્હી વચ્ચે યાતાયાતની ઉણપનો પ્રશ્ન વારંવાર સામે આવે છે. ગત બે વર્ષથી માંડ-માંડ શરૂ થયેલી દિલ્હી-કંડલા-દિલ્હી છેલ્લા કેટલાક સમયથી ડચકા ખાઈ ચાલે છે. ગત સપ્તાહમાં એક વાર ફ્લાઈટ મોડી થઈ તો ચાર રદ કરવામાં આવી હતી.રવિવારે સામાન્ય રીતે સાંજના 4:05 વાગ્યે દિલ્હી જવા માટે ઉપડતી ફ્લાઈટ 5:55 વાગ્યે ઉપાડી હતી. 1.50 કલાક મોડી પડેલી ફ્લાઈટ પાછળ કંપની તકનીકી કારણો ગણાવે છે, તો સોમવારે પણ કંડલા એરપોર્ટથી દિલ્હીની ફ્લાઈટ રદ રહેશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

ગત શનિવારે અને તે અગાઉ પણ બે વાર આ સપ્તાહમાં આ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. કંડલા થી દિલ્હીની ફ્લાઈટમાં સામાન્ય રીતે 90% જેટલું બુકિંગ હોય છે, મતલબ કે સારો એવો ટ્રાફિક મળતો હોવા છતાં લોકોને યોગ્યરીતે સગવડ મળવા પામતી નથી. અગાઉ જ ઉતરભારતીય સમાજ સહિતના દિલ્હી માટે સુપરફાસ્ટ ટ્રેનની માંગ સતત કરે છે. ગાંધીધામથી દિલ્હીની જોડાણ મહત્વપૂર્ણ હોઇ તેને વિમાની તેમજ રેલવે વડે સીધું અને નિયમિત જોડાણ અપાય તે જરૂરી.