અંજાર તાલુકાના ખોખરામાં ઘર સળગાવી હત્યાનો પ્રયાસ કરાયો, માતા-2 પુત્ર ગંભીર રીતે દાઝ્યા


અંજાર તાલુકાના ખોખરામાં મધરાત્રે ઘરમાં સુતેલા માતા અને બે યુવાન પુત્રોને જીવતા સળગાવી નાખવાના પ્રાયાસ સાથે રૂમમાં આગ ચાંપી દેવામાં આવી હતી. પરંતુ સદભાગ્યે ઘરના વડીલ બીજા રૂમમાં હોવાથી ત્રણેયને સળગતા ઘરથી બહાર કાઢી લેવાયા હતા. એક પુત્રએ 10 મહીના પહેલા જેનાથી પ્રેમ લગ્ન કર્યા હતા તેના પરિવારના લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા પોલીસમાં વ્યક્ત કરવામાં આવી છે.
ખોખરાના પ્રેમજીભાઈ શામજીભાઈ ખોખરની ફરિયાદને નજરે રાખીને અંજાર પોલીસે આપેલી માહિતી અનુસાર રાત્રે તેમની 50 વર્ષીય પત્ની લખીબેન, પુત્રો 27 વર્ષનો વિનોદ અને 22 વર્ષીય દિનેશ રસોડાની બાજુના રૂમમાં સૂતા હતા તેમજ પિતા પ્રેમજીભાઇ અલગ રૂમમાં નિંદ્રામાં હતા. તે દરમ્યાન રાત્રે 2 વાગ્યે પુત્ર દિનેશ ગંભીર રીતે દાઝેલી અવસ્થામાં રાડો પાડતો પિતા પાસે આવ્યો અને ઘરમાં આગ લાગી હોવાનું જણાવતા ફરિયાદીએ તાત્કાલિક આગ લાગેલા રૂમમાં જઈ પત્ની અને પુત્ર વિનોદને બહાર કાઢ્યા.
તે બંને પણ ગંભીર રીતે દાઝયા હતા. બૂમાબૂમથી આસપાસના લોકો પણ એકત્ર થયા હતા અને દાઝેલા ત્રણેયને અંજારની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં લખીબેન મોઢા, ગરદન તથા બંને હાથના ભાગે દાઝ્યા હતા, પુત્ર વિનોદ પીઠ, ગરદન તેમજ બંને હાથ અને દિનેશ મોઢા તથા બંને હાથના ભાગે દાઝયા હતા. જેથી પોલીસે અજાણ્યા સખ્શો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો ટાંકી ફરિયાદ નોંધી.
મોટા પુત્ર વિનોદે ગામમાં જ રહેતા નારણ વેલા ખોખરની પુત્રી સાથે તેના મા-બાપની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા. જેથી નારણ વેલા તથા તેના પુત્ર કિશને ઘરમાં આગ લગાડી દીધી હોવાની આશંકા ફરિયાદી પ્રેમજીભાઇએ વ્યક્ત કરી. એક પરિવારના ત્રણ લોકોને જીવતા સળગાવી દેવાના બનાવથી હડકપ મચ્યો.પુત્રએ પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતી સાથે છૂટું પણ કરી નાખ્યું છે. તેમ છતાં તે યુવતીના પરિજનોએ જ આ આગ લગાવી હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી.
ઘરમાંથી પોતાના પરિજનોને બહાર કાઢ્યા પછી ફરિયાદીએ જાતે જ આગ પર કાબુ મેળવવાનો પ્રાયાસ કર્યો હતો. જેમાં ઘરના પાણીના ટાંકા માંથી પાણી ભરી પાણીનો મારો ચલાવતા રૂમ અને રસોડાના દરવાજા પર લાગેલી આગ બુઝાવવામાં સફળતા મળવી લેતા ઘરમાં વધુ આગ પ્રસરતા રોકી લીવાઇ હતી.