નખત્રાણા તાલુકાનાં દેવપર ગામે ગત રાત્રીના અકસ્માત થતાં 4ના મોત, 2ની હાલત ગંભીર

copy image

નખત્રાણા તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર ગતરાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં દવાખાને જતા ગોસ્વામી પરિવારના ચાર લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે હજુ બે લોકોની હાલત ગંભીર. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પરિવારજનો અને અગ્રણીઓ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયા.

ઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર નખત્રાણાના ગોસ્વામી પરિવારની બાળકીને ખેંચની બિમારી છે અને જેની માંડવીના ખાનગી તબીબની દવા ચાલે છે. ગત રાત્રે બાળકીને ખેંચનો હુમલો થતાં પરિવારજનો કાર વડે બાળકીના ઈલાજ માટે માંડવી જતા હતા ત્યારે કાર માર્ગ પર ઉભેલી ટ્રક પાછળ અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં સાસુ, વહુ, પૌત્ર અને દિયરને ગંભીર ઈજાઓ થવાથી મોત નિપજ્યા છે. જ્યારે  દવા લેવા જતા હતા તે બાળકી અને તેના પિતા ચેતન ગોસ્વામીને ઇજા થતાં હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું.