ભુજની નગરપાલિકા પાસે ઢોર સાચવવાની ક્ષમતા 200ની જ્યારે રખડતા ઢોર છે 1500 અને પીંજરા તો 2 જ , તો ઉકેલ કેમ આવે!

copy image

ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અંગે જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશનએ  રજૂ કરતા એકશન રિપોર્ટમાં લેવાયેલા પગલાના ડેટા જોઈ કડક કાર્યવાહી કરવા આદેશ આપી નારાજગી સાથે ધાક બેસાડતી કાર્યવાહી કરવા તાકીદ કરી.  ભુજની વાત કરીએ તો શહેરમાં રખડતા ઢોર એક અંદાજ અનુસાર 1500થી વધુ છે, જેને પકડીને ડબ્બામાં પુરવા નગરપાલિકા માટે પણ અઘરું છે.

હાલમાં એક જ દિવસમાં 200 ઢોર પકડ્યા, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા, કાયમી આવી રીતે કામગીરી શા માટે ન થાય તેવો સવાલ નાગરિકોને થાય છે. પાલિકાએ એક પશુના ડબ્બે પુરાયા બાદ છોડાવવા માટે બે હજાર રૂપિયા વસૂલવાનો નિશ્ચય કર્યો છે. તો પણ બેજવાબદાર લોકો તેમના પશુઓને છૂટા મુકે છે. ભુજીયાની તળેટીમાં એકમાત્ર ઢોરવાડો છે, જેમાં 200 પશુ રાખવાની ક્ષમતા છે.

આ અંગે પ્રમુખ ઘનશ્યામ ઠક્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે આગામી ત્રણ દિવસમાં જો ઢોર પરત નહિ લઈ જવાય તો તે પાંજરાપોળ મધ્યે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. એકપણ વ્યક્તિનો દંડ માફ કરવામાં આવશે નહિ . પકડેલા ઢોરના નિભાવ માટે સુધરાઇ નહિ પણ સંસ્થાઓ અને દાતાઓ પાસેથી દાણ મેળવી નીરણ કરવામાં આવે છે. આ દરમિયાન નગરસેવકની 11 ગાયો ડબ્બે પુરાઇ હોવાના અહેવાલમાં થયેલા ઉલ્લેખ વિશે પશુપાલક અમિતાબેન જેઠીએ જણાવ્યું હતું કે, કાઉન્સિલર કશ્યપભાઇ વિશે કોઇ પણ ટિપ્પણી કરી નથી અને બહાર આવેલી વાત ખોટી છે. પશુપાલન નિયામકની કચેરી પાસેથી મળેલા આંકડા અનુસાર ભુજમાં 6351 ગૌવંશ છે. જેમાં 1500 જેટલા રખડતા ઢોર હોવાનો અંદાજ છે.

ભુજમાં ભીડ નાકા પાસે રાજાશાહીના સમયથી ઘાસચારા માર્કેટ આવેલ છે. અને ત્યાં બસ્સોથી વધુ ઢોરો ચરે છે. શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ ઘાસ વેંચવામાં આવે છે. તેના પ્રતિબંધ લગાવવામાં આવે તે જરૂરી છે. ઉપલીપાડ, એરપોર્ટ રીંગ રોડ, મંગલમ ચાર રસ્તા જેવા વાહન અને લોકોની અવરજવર હોય તેવા વિસ્તારોમાં ઘાસ વેંચવામાં આવે છે.

દયાના ભાવ સાથે અને પશુપ્રેમ ને લીધે લોકો ધાર્મિક ભાવના સાથે ગાયો, વાછરડા અને આખલાને એઠવાડ આપે છે. જે ગૌવંશને રસ્તા પર આવવા પ્રેરે છે. હાઉસિંગ બોર્ડના મકાનો પાસે રસ્તા નજીક  જ કુંડી અને કચરાપેટી મૂકેલ છે, જ્યાં માલિકીના પશુઓ જ આખો દિવસ એઠવાડ ખાવા રખડતા હોય છે. તો ભુજમાં અનેક બનાવો પણ બન્યા છે, જેમાં વૃદ્ધોને પટક્યા હોય.

પશુપાલન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક પશુઓની વસ્તી ગણતરીના ઉદ્દેશથી ટેગિંગ કરવામાં આવી રહી છે. જે અનુસાર ભુજમાં 6351 ગૌવંશ નોંધાયેલા છે.