ગણેશોત્સવ ઉજવણી અંતર્ગત પીઓપી મૂર્તિઓને તળાવો, નદીઓમાં વિસર્જન પર પ્રતિબંધ


તા.૩૧/૮/૨૦૨૨ થી તા.૯/૯/૨૦૨૨ સુધી ગણેશોત્સવની ઉજવણી થનાર છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ ધાર્મિક રીત-રિવાજ મુજબ મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. દેવિ-દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં કેમિકલયુકત રંગોનો ઉપયોગ થતો હોય છે. આવી મૂર્તિઓને નદી તથા તળાવોના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેલ પાણીજન્ય જીવો, માછલીઓ તથા આ પાણીનો ઉપયોગ કરતા મનુષ્યોને પણ નુકશાન થાય છે. જેથી સદર તહેવારની ઉજવણી દરમ્યાન કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ પ્રકારની મૂર્તિઓ બનાવવા, પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.) નો ઉપયોગ તેમજ કેમિકલ યુકત રંગોના ઉપયોગ કરવાનાં કારણે પાણીજન્ય રોગો, પશુઓ તેમજ માનવ જીવને થતા નુકશાનને અટકાવવા તેમજ મૂર્તીઓની ઉચાઇ નકકી કરવામાં આવે તેમજ પર્યવારણને નુકશાન ન થાય તે હેતુથી સાવચેતીના પગલા રૂપે પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી.) માંથી તૈયાર થતી મૂર્તીઓના તળાવો અને નદીઓમાં વિસર્જન થવાની પર્યાવરણને હાની પહોંચતી હોઇ તેના પર પ્રતિબંધ મૂકવાનું જરૂરી જણાય છે.
જેથી શ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તળે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, સમગ્ર કચ્છ જિલ્લાની હદમાં આવેલ દરેક સંસ્થા, મહોલ્લાના વ્યવસ્થાપકોને તા.૩૧/૮/૨૦૨૨ થી તા.૯/૯/૨૦૨૨ સુધી ચુસ્તપણે અમલ કરવા જણાવાયું છે.
અનુસૂચિ મુજબ પરંપરાગત કુદરતી/પ્રાકૃતિક માટી તેમજ બાયો ડિગ્રેડેબલ, ઈકો ફ્રેન્ડલી અને ટોક્ષિક ન હોય તેવા કાચા માલમાંથી મૂર્તિઓ બનાવવાની રહેશે. પ્લાસ્ટર ઓફ પેરીસ (પીઓપી), પ્લાસ્ટીક, થર્મોકોલ (પોલીસ્ટાયરીન) માંથી બનેલ મૃર્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મૂર્તિની ઉંચાઇ બાબતે સબંધિત નગરપાલિકા તથા સક્ષમ સ્થાનિક સત્તાધિકારીએ ધારાધોરણ નકકી કરવાના રહેશે. જળાશયોમાં પ્રદુષણ અટકાવવા માટે મૂર્તિઓ કે તેના આભૂષણો બનાવવા માટે માત્રસૂકા ફૂલોનો, ઘાસ વગેરે અને વૃક્ષોના કુદરતી રેઝિનનો ઉપયોગ મૂર્તિઓને આકર્ષક બનાવવા માટે કરવાનો રહેશે તેમજ મૂર્તિઓ, પંડાલ કે શણગારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મટીરીયલ્સનો ઉપયોગ સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. મૂર્તિઓને રંગવા માટે ઈકોફ્રેન્ડલી, બાયો ડિગ્રેડેબલ નોન-ટોક્ષિક અને પાણી આધારિત કુદરતી ડાઇ/રંગોનો ઉપયોગ કરવાનો રહેશે. જયારે ટોક્ષિક, નોન બાયોડિગ્રેડેબલ, રાસાયણિક ડાઈ/રંગો તથા ઈનેમલ અને સિન્થેટિક ડાઇ આધારિત રંગોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મૂર્તિઓના બ્યુટિફિકેશન માટે પેઈન્ટ અને અન્ય ઝેરી રસાયણો તથા અન્ય સામગ્રીની જગ્યાએ માત્ર કુદરતી સામગ્રી અને રંગોથી બનાવેલા દૂર કરી શકાય તેવા અને ધોવા યોગ્ય સુશોભન કપડાંનો ઉપયોગ કરવાનો રહેશે. છોડમાંથી માત્ર કુદરતી રીતે બનતા રંગો (ફૂલો, છાલ, પુંકેસર, પાંદડા, મુળ, બીજ, આખા ફળો) અથવા રંગીન ખડકોનો ઉપયોગ રંગ માટે કરવાનો રહેશે.મૂતિઓના વિસર્જન પહેલા મૂતિઓના તમામ ફૂલો, પાંદડાઓ અને કૃત્રિમ આભૂષણો દુર કરવાના રહેશે અને માત્ર આવી મૂર્તિઓને પુરતી સલામતી સાથે નિયુકત જગ્યાએ વિસર્જિત કરવાની રહેશે. વિસર્જન સમયે મૂર્તિઓ નદીઓ/તળાવના કિનારે રાખવી નહીં. નદી/તળાવમાં પધરાવવી નહીં તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહીં. શક્ય હોય ત્યાં સુધી નાની મૂર્તિઓનું વિસર્જન તેમના ઘરે ઇકો ફ્રેન્ડલી રીતે કરવાનું રહેશે એટલે કે પાણીથી ભરેલી ડોલમાં અને મૂર્તિ સંપૂર્ણ રીતે ઓગળી ન જાય ત્યાં સુધી તેને વિસર્જનની સ્થિતિમાં રાખવાની રહેશે. મૂર્તિઓની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહીં. મૂર્તિકારોએ વધેલી તથા ખંડિત મૂર્તિઓ બિનવારસી હાલતમાં છોડી દેવી નહીં. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુ ગંદકી કરવી નહીં તે અંગે સંબંધિત નગરપાલિકા તથા સક્ષમ સ્થાનિક સત્તા અધિકારીએ તકેદારી રાખવી. કચ્છ જિલ્લા બહારથી મૂર્તિ લાવી વેચનારા મૂર્તિકારો/વેપારીઓને પણ આ સૂચનાઓ લાગુ પડશે. વિસર્જન સરઘસ માટેની પરવાનગીમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવી નહીં.
આ હુકમના કોઇપણ ખંડ કે ભાગનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સહિતની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૩૧/૮/૨૦૨૨ થી તા.૯/૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.